Diabetes: શું તમે પણ સુગર-ફ્રી ચા પીને પોતાને હેલ્ધી માનો છો? જાણો કેમ બેઠાડુ જીવન અને અધૂરી ઊંઘ વધારે છે બ્લડ સુગર
ડૉ. શહલા શેખે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો એવા ભ્રમમાં જીવે છે કે ચા-કોફીમાં સુગર ન લેવાથી તેઓ ડાયાબિટીસથી સુરક્ષિત થઈ ગયા છે. વાસ્તવમાં, આપણી દિનચર્યાની કેટલીક અન્ય ખરાબ આદતો બ્લડ સુગરના સ્તરને ખાંડ કરતાં પણ વધુ નુકસાન પહોંચાડે છે.

અસલી ખતરો સવારથી સાંજ સુધી ખુરશી પર બેસી રહેવાની આદત, પૂરતી ઊંઘ ન લેવી, સતત માનસિક તણાવ (સ્ટ્રેસ) અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાની શૈલીમાં છુપાયેલો છે. આ આદતો ધીમે-ધીમે શરીરને અંદરથી ખોખલું કરી દે છે. આજકાલ ઓફિસોમાં લેપટોપ સામે સતત 8 થી 10 કલાક બેસી રહેવું સામાન્ય બની ગયું છે, જે શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે નબળું પાડે છે.
કલાકો સુધી બેસી રહેવું: ધૂમ્રપાન જેટલું જ ખતરનાક
વિવિધ સંશોધનો દર્શાવે છે કે જે લોકો દિવસનો લાંબો સમય બેસીને વિતાવે છે, તેમનામાં ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઝડપથી વધે છે. જ્યારે શરીર શારીરિક રીતે સક્રિય નથી હોતું, ત્યારે આપણી માંસપેશીઓ લોહીમાં રહેલા ગ્લુકોઝનો યોગ્ય ઉપયોગ કરી શકતી નથી. પરિણામે, શરીરમાં ‘ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ’ (Insulin Resistance) વધવા લાગે છે અને બ્લડ સુગર નિયંત્રણ બહાર થઈ જાય છે.
ડૉ. શહલા શેખના મતે, “સતત બેસી રહેવાની આ બેઠાડુ જીવનશૈલી (Sedentary Lifestyle) માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓનું મૂળ કારણ છે. આ આદત શરીર માટે સ્મોકિંગ (ધૂમ્રપાન) જેટલી જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.”
અધૂરી ઊંઘ અને બ્લડ સુગરનો સીધો સંબંધ
માત્ર શારીરિક નિષ્ક્રિયતા જ નહીં, પરંતુ ઊંઘની કમી પણ સુગર વધારવાનું મોટું કારણ છે. આજે લોકો મોડી રાત સુધી મોબાઈલ સ્ક્રીન સ્ક્રોલ કરે છે અથવા કામ કરે છે અને સવારે વહેલા જાગી જાય છે. જ્યારે શરીરને 7 થી 8 કલાકનો જરૂરી આરામ મળતો નથી, ત્યારે તેની સીધી નકારાત્મક અસર ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પર પડે છે. ઊંઘ પૂરી ન થવાને કારણે શરીરમાં ‘કોર્ટિસોલ’ (Cortisol) નામના સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે, જે મીઠું ખાધા વગર પણ બ્લડ સુગર લેવલને વધારી દે છે.

મીઠું ન ખાવા છતાં કેમ વધે છે ડાયાબિટીસ?
માનસિક તણાવ પણ ડાયાબિટીસના દર્દીઓ વધવાનું એક મુખ્ય કારણ છે. જ્યારે વ્યક્તિ સતત ચિંતા કે તણાવમાં હોય છે, ત્યારે લીવર લોહીમાં વધુ ગ્લુકોઝ રિલીઝ કરે છે. આ સિવાય બજારમાં મળતી ‘સુગર-ફ્રી’ કે ‘ડાયેટ’ પ્રોડક્ટ્સ પણ લોકોને ગેરમાર્ગે દોરે છે. પેકેટ પર ‘સુગર-ફ્રી’ લખેલું હોવાનો અર્થ એ નથી કે તે સ્વાસ્થ્યપ્રદ છે. આવા ખાદ્યપદાર્થોમાં રિફાઈન્ડ મેદો, હાનિકારક પ્રોસેસ્ડ ઓઈલ અને હાઈ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધારે છે.
નિષ્ણાતોની સલાહ: જીવનશૈલી બદલો
જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો માત્ર ચાની ચમચી બદલવાથી (ખાંડ છોડવાથી) કંઈ નહીં થાય. તેના માટે તમારે આખી લાઈફસ્ટાઈલ બદલવી પડશે:
ઓફિસમાં કામ કરતી વખતે દર કલાકે સીટ પરથી ઊભા થઈને 5 મિનિટ વોક કરો.
આહારમાં હાઈ-ફાઈબર (ફાઈબરયુક્ત) અને પ્રોટીનવાળી વસ્તુઓ સામેલ કરો.
પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ જંક ફૂડ ખાવાનું ટાળો.
રોજિંદા જીવનમાં યોગ કે મેડિટેશન દ્વારા માનસિક તણાવ ઓછો કરો.
રોજ રાત્રે 7 થી 8 કલાકની ગાઢ અને ગુણવત્તાયુક્ત ઊંઘ લો.
અસલી સ્વાસ્થ્ય ચામાં ખાંડ છોડવાથી નહીં, પણ આખા દિવસની આદતો સુધારવાથી મળશે.
