RBI: શું ભારતીય અર્થતંત્ર કોઈપણ આર્થિક આંચકા સામે ટકી શકે છે? જાણો RBI શું કહે છે
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ, મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ભારત માટે એક ખૂબ જ આશાસ્પદ અહેવાલ સામે આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ‘ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’ (FSR) સ્પષ્ટ કરે છે કે તમામ પ્રકારના બાહ્ય અને આંતરિક પડકારો છતાં ભારતની નાણાકીય વ્યવસ્થા અત્યંત મજબૂત અને સ્થિર છે.

બેંકિંગ સેક્ટરની મજબૂતીનું રહસ્ય
RBI ના રિપોર્ટ મુજબ, ભારતના અનુસૂચિત વાણિજ્યિક બેંકો (SCBs) હાલમાં સુરક્ષિત સ્થિતિમાં છે. આ મજબૂતી પાછળનું મુખ્ય કારણ બેંકો પાસે રહેલી પર્યાપ્ત મૂડી, મજબૂત રોકડ વ્યવસ્થા (Liquidity) અને એસેટ ક્વોલિટીમાં થયેલો સુધારો છે. રિપોર્ટમાં કરવામાં આવેલા વિવિધ ‘સ્ટ્રેસ ટેસ્ટ’ (Stress Tests) એ સાબિત કર્યું છે કે જો ભવિષ્યમાં કોઈ આર્થિક આંચકો આવે, તો પણ ભારતીય બેંકો તેમની નિયમનકારી મર્યાદાઓ જાળવી રાખવા માટે સક્ષમ છે. બેંકોનો નફો પણ લાંબા સમયથી સ્થિર રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે એક સકારાત્મક સંકેત છે.
NBFC સેક્ટરની પણ ડગમગતી સ્થિતિમાં સ્થિરતા
માત્ર બેંકો જ નહીં, પરંતુ બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) એ પણ પોતાની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો છે. સારી આવક, લોન રિકવરીમાં થયેલો સુધારો અને મજબૂત મૂડી આધારને કારણે NBFC સેક્ટર પણ હવે નાણાકીય રીતે સ્વસ્થ છે. આ સેક્ટરની મજબૂતી દેશના સમગ્ર નાણાકીય તંત્રને આધાર પૂરો પાડે છે અને સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આધુનિક યુગના સૌથી મોટા જોખમો: AI અને સાયબર અટેક
જ્યાં એક તરફ અર્થતંત્ર મજબૂત છે, ત્યાં રિપોર્ટમાં કેટલીક ગંભીર ચેતવણીઓ પણ આપવામાં આવી છે. RBI નું માનવું છે કે આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને કરવામાં આવતા સાયબર હુમલા સૌથી મોટો ખતરો બની શકે છે. બદલાતી ટેકનોલોજીને કારણે નાણાકીય સંસ્થાઓએ હવે પોતાની સાયબર સુરક્ષામાં ધરખમ ફેરફારો કરવાની અને તેને વધુ અભેદ્ય બનાવવાની જરૂર છે, જેથી ગ્રાહકોના ડેટા અને તેમના વ્યવહારો સુરક્ષિત રહી શકે.

ગવર્નર સંજય મલ્હોત્રાનું નિવેદન
RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “વિશ્વ આ સમયે ભૂ-રાજકીય તણાવ અને AI જેવી નવી તકનીકોને કારણે મોટા પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે.” આટલા બધા પડકારો હોવા છતાં, ભારતે મજબૂત આર્થિક વૃદ્ધિ, નિયંત્રિત મોંઘવારી અને કંપનીઓની મજબૂત બેલેન્સ શીટના જોરે પોતાની જાતને અડીખમ રાખી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે રિઝર્વ બેંક વૈશ્વિક અને સ્થાનિક બંને પ્રકારના જોખમો પર સતત ચાંપતી નજર રાખી રહી છે અને ભવિષ્યની કોઈપણ નવી પડકારને પહોંચી વળવા માટે કેન્દ્રિય બેંક સંપૂર્ણપણે સજ્જ છે.
