ટાટા સન્સની AGM કેમ રદ થઈ? ટ્રસ્ટ પર કાનૂની પ્રતિબંધથી કોરમ ન સચવાયું, જાણો ચેરમેન ચંદ્રશેખરન પર શું પડશે અસર
દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ઘરાના પૈકીના એક ટાટા ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ‘ટાટા સન્સ’ ને પોતાની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજવા માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) તરફથી ૩ મહિનાનો વધારાનો સમય મળી ગયો છે. ૧૮ ઓગસ્ટે યોજાનારી આ એજીએમ જરૂરી સંખ્યામાં સભ્યો (કોરમ) હાજર ન રહેવાને કારણે મુલતવી રાખવી પડી હતી. ટાટા સન્સના ૧૫૦ વર્ષથી પણ વધુ લાંબા અને ભવ્ય ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે AGM મુલતવી રાખવી પડી હોય અને કંપનીએ તેને યોજવા માટે સરકાર પાસે વધારાનો સમય માંગવો પડ્યો હોય.

ટાટા સન્સને આ બેઠક રદ કરવાનો નિર્ણય એટલા માટે લેવો પડ્યો હતો કારણ કે નિયમ મુજબ જરૂરી કોરમ (Quorum) પૂરું થઈ શક્યું ન હતું. આ અણધારી પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) પર મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર દ્વારા લાદવામાં આવેલા કાનૂની પ્રતિબંધો હતા.
ટ્રસ્ટો વચ્ચેનો હિસ્સો અને કોરમ કેમ ન સચવાયું?
ટાટા ગ્રૂપની સંરચના મુજબ, સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) મળીને ટાટા સન્સમાં બહુમતી (આશરે ૬૬ ટકા) હિસ્સેદારી ધરાવે છે. તેથી કંપનીની કોઈપણ એજીએમમાં આ ટ્રસ્ટોનું પ્રતિનિધિત્વ અત્યંત નિર્ણાયક હોય છે.
પરંતુ મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે SRTT પર કોઈપણ બેઠક યોજવા અથવા તો કોઈ સત્તાવાર નિર્ણય લેવા પર મુકેલો પ્રતિબંધ હટાવ્યો ન હતો. પરિણામે, SRTT અને SDTT દ્વારા સંયુક્ત રીતે નીમવામાં આવેલા પ્રતિનિધિઓ આ AGM માં ભાગ લઈ શક્યા ન હતા. બહુમતી ધરાવતા મુખ્ય શેરહોલ્ડરોની ગેરહાજરીને કારણે કાયદાકીય કોરમ પૂર્ણ થઈ શક્યું નહીં. આ પાબંદીઓ ક્યારે હટશે તે અંગે અનિશ્ચિતતા હોવાથી કંપનીએ સમયમર્યાદા લંબાવવા અરજી કરી હતી. જોકે, કમિશનર વહેલી મંજૂરી આપશે તો કંપની ૩ મહિના પૂરા થાય તે પહેલાં પણ AGM બોલાવી શકે છે.

સર રતન ટાટા ટ્રસ્ટ પર શા માટે લાગ્યો છે પ્રતિબંધ?
મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે એક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી SRTT ની કામગીરી પર કામચલાઉ રોક લગાવી છે. આ તપાસ ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની સંરચના અને મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટના અન્ય નિયમોના કથિત ભંગ બદલ ચાલી રહી છે.
આ કાનૂની ગૂંચવણ વચ્ચે ટાટા ટ્રસ્ટે ચેરિટી કમિશનર પાસે એજીએમમાં સામેલ થવાની વિશેષ પરવાનગી માંગી છે. આ સાથે જ, ટ્રસ્ટે ટાટા સન્સના આગામી ચેરમેનની શોધ કરવા માટે એક ‘સિલકેશન કમિટી’ (પસંદગી સમિતિ) ની રચના કરવાની મંજૂરી પણ માંગી છે. વર્તમાન ચેરમેન એન. ચંદ્રશેખરન અગાઉથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ફેબ્રુઆરી ૨૦૨૭ માં તેમનો કાર્યકાળ પૂરો થયા પછી તેઓ ફરી ચેરમેન પદ માટે દાવેદારી નહીં કરે.
એન. ચંદ્રશેખરનના ડિરેક્ટર પદ અને ચેરમેનપદા પર શું અસર?
નિયમ મુજબ એન. ચંદ્રશેખરન આ AGM માં રોટેશનના આધારે ડિરેક્ટર પદેથી નિવૃત્ત થવાના હતા અને તેમની ફરીથી નિમણૂકનો પ્રસ્તાવ પસાર થવાનો હતો. પરંતુ AGM કાયદેસર રીતે યોજાઈ ન હોવાથી તેમની પુનઃનિમણૂકની કાનૂની પ્રક્રિયા હાલ ખુલ્લી રહી ગઈ છે.
કાનૂની નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈધ એજીએમમાં તેમની પુનઃનિમણૂક અંગે આખરી નિર્ણય ન લેવાય, ત્યાં સુધી તેમના હોદ્દાની સ્થિતિ ટાટા સન્સના આંતરિક નિયમો અને AGM મુલતવી રાખવાની પદ્ધતિ પર નિર્ભર રહેશે. જોકે, મોટાભાગના કોર્પોરેટ એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર AGM પાછી ઠેલાવાને કારણે ચેરમેન પદ ખાલી થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે આ પદ ચંદ્રશેખરનના બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચાલુ રહેવા સાથે સીધું જોડાયેલું છે.
