1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: 8મા પગાર પંચના રિપોર્ટ અંગે નાણાં મંત્રાલયનો ખુલાસો
આઠમા પગાર પંચ (8th Pay Commission) ની બેઠકો સતત ચાલી રહી છે અને દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તેની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકારે 8મા પગાર પંચ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે.

સંસદમાં સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યસભાના સાંસદ નીરજ શેખર દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું 8મું પગાર પંચ તેની નક્કી કરેલી 18 મહિનાની સમયસીમા પહેલા જ પોતાની ભલામણોનો અહેવાલ રજૂ કરી દેશે? આ ઉપરાંત, તેમણે એ પણ જાણવા માંગ્યું હતું કે પંચે અત્યાર સુધી કયા કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે ચર્ચા-વિચારણા પૂર્ણ કરી છે.
આ પ્રશ્નનો લેખિત જવાબ આપતાં નાણાં મંત્રાલયના રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 3 નવેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવેલા સરકારી ઠરાવ (Resolution) અનુસાર, પંચે તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાની ભલામણો સોંપવાની રહેશે. જોકે, પંચ સમયમર્યાદા પહેલા રિપોર્ટ સોંપશે કે નહીં તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
શું દરેક બેઠકની માહિતી આપવી ફરજિયાત છે?
સંસદમાં પૂછાયેલા બીજા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે 3 નવેમ્બર 2025ના ગઝટ નોટિફિકેશનમાં એવો કોઈ નિયમ કે જોગવાઈ નથી કે પંચે તેની સલાહ-મશવરા અને મુલાકાતોની પ્રક્રિયા અંગે સતત સરકારને અહેવાલ આપવો પડે.
પગાર પંચ એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરે છે અને તે પોતાની રીતે વિવિધ સંગઠનો સાથે ચર્ચા કરીને અંતિમ અહેવાલ તૈયાર કરે છે.

રિપોર્ટ ક્યારે સબમિટ કરવાનો રહેશે?
સરકારે 8મા પગાર પંચ માટેના Terms of Reference (ToR) નવેમ્બર 2025માં જાહેર કર્યા હતા. નિયમો અનુસાર:
પંચ પાસે તેની રચનાની તારીખથી 18 મહિનાનો સમય છે.
આ હિસાબે, પંચ પાસે મે 2027 સુધીમાં પોતાની અંતિમ ભલામણો રજૂ કરવાની મુદત છે.
જોકે, જો કામગીરી બાકી રહે તો પંચ સરકાર પાસે સમયમર્યાદા લંબાવવાની માંગ કરી શકે છે.
દેશભરમાં ચર્ચા અને બેઠકોનો દોર
8મા પગાર પંચની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. તાજેતરમાં દેશની રાજધાની દિલ્હી ઉપરાંત કોલકાતા ખાતે પણ બે દિવસીય મહત્વની બેઠક યોજાઈ હતી. પંચના સભ્યો દેશના વિવિધ ભાગોની મુલાકાત લઈને કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય સંબંધિત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે.
