સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાયા: આધાર સાથે બાયોમેટ્રિક વેરિફિકેશન વિના નહીં મળે નવું કનેક્શન
ભારતમાં ડિજિટલ સાયબર ફ્રોડ અને ફેક સિમ કાર્ડ દ્વારા થતી છેતરપિંડી પર લગામ કસવા માટે દૂરસંચાર વિભાગે (DoT) સિમ ખરીદીની પ્રક્રિયામાં અમૂલચૂક ફેરફારો કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે માત્ર આધાર કે અન્ય ઓળખપત્ર આપીને નવું SIM કાર્ડ મેળવવું શક્ય બનશે નહીં. ગ્રાહકોએ નવું કનેક્શન લેવા માટે હવે બાયોમેટ્રિક વેરિફિકેશન (Biometric Verification) પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ટેલિકોમ ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બાયોમેટ્રિક ચકાસણીમાં શું સામેલ હશે?
DoT ની નવી માર્ગદર્શિકા મુજબ, નવું SIM ખરીદતી વખતે માત્ર કાગળના પુરાવા કે ઓટીપી (OTP) આધારિત કેવાયસી પૂરતું રહેશે નહીં. ગ્રાહકની વાસ્તવિક ઓળખ સુનિશ્ચિત કરવા માટે:
ફિંગરપ્રિન્ટ્સ (Fingerprints): ગ્રાહકના આંગળાના નિશાન લેવામાં આવશે.
ફેસ રેકગ્નિશન (Face Recognition): લાઈવ ફોટોગ્રાફ અને ફેસ મેચિંગ કરવામાં આવશે.
આઈરિસ સ્કેન (Iris Scan): કેટલાક કિસ્સાઓમાં આંખોની કીકીનું સ્કેનિંગ પણ થઈ શકે છે.
આ પ્રક્રિયાથી બોગસ દસ્તાવેજોના આધારે બીજાના નામે SIM કાર્ડ ખરીદવાના કિસ્સાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
માત્ર નવું SIM જ નહીં, આ સેવાઓ માટે પણ બાયોમેટ્રિક જરૂરી
આ નવા નિયમોની અસર માત્ર નવું કનેક્શન લેવા સુધી સીમિત નથી. જો યુઝર પોતાના અસ્તિત્વમાં રહેલા SIM કાર્ડની માહિતી અપડેટ કરવા માગતા હોય, જૂનું SIM બંધ કરાવવા માગતા હોય, કે ડુપ્લિકેટ/ખોવાયેલું SIM ફરીથી મેળવવા માગતા હોય, તો પણ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે.
સરકારના જણાવ્યા મુજબ, આ કડક રી-વેરિફિકેશન સિસ્ટમથી ડિજિટલ ઓળખની ચોરી થતી અટકાવી શકાશે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાતા સિમ કાર્ડ્સને બ્લોક કરવા સરળ બનશે.
સરકારે કેમ બદલ્યા નિયમો?
આજના સમયમાં મોબાઈલ નંબર માત્ર કોલિંગ કે મેસેજિંગ પૂરતો સીમિત નથી રહ્યો. તે બેંક એકાઉન્ટ, UPI પેમેન્ટ્સ અને અન્ય તમામ ડિજિટલ સરકારી સેવાઓ સાથે સીધો જોડાયેલો છે. આવી પરિસ્થિતિમાં કોઈ નંબર કઈ વ્યક્તિના નામે એક્ટિવ છે તેની સાચી ઓળખ થવી અત્યંત જરૂરી છે.

સાયબર ક્રિમીનલ્સ અજાણ્યા લોકોના આઈડીનો દુરુપયોગ કરીને ફેક સિમ મેળવી લેતા હતા. આ નવા પગલાથી ફ્રોડ કરનારાઓ માટે લૂપહોલ્સ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
SIM કાર્ડ રાખવાની મર્યાદા નક્કી
બાયોમેટ્રિક નિયમોની સાથેDoT એ યુઝરદીઠ કનેક્શનની સીમા પણ નિર્ધારિત કરી દીધી છે. ટેલિકોમ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ એવા ગ્રાહકોની ઓળખ કરે જેમના નામે મર્યાદા કરતા વધુ કનેક્શન્સ છે.
સામાન્ય રાજ્યો: એક વ્યક્તિ પોતાના નામે મહત્તમ ૯ SIM કાર્ડ રાખી શકે છે.
સંવેદનશીલ રાજ્યો (જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તર): આ વિસ્તારોમાં મહત્તમ સીમા ૬ SIM કાર્ડ ની રાખવામાં આવી છે.
જો કોઈ ગ્રાહકના નામે આ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ SIM ચાલુ હશે, તો તેમણે વધારાના કનેક્શન તુરંત બંધ કરાવવા પડશે, અન્યથા સરકાર દ્વારા તે સ્વચાલિત રીતે નિષ્ક્રિય (Block) કરી દેવાશે.
