ચાની દુકાનથી લઈને શાકભાજીના લારી-ગલ્લા સુધી UPI સુપરહિટ: ૫૭% વેપારીઓનું વેચાણ વધ્યું
આજના સમયમાં રૂ. ૧૦ ની ચા પીવી હોય, રૂ. ૫૦ શાકભાજી ખરીદવી હોય કે શેરીની કરિયાણાની દુકાનેથી સામાન લેવો હોય, તો ખીસામાંથી રોકડ રકમ (Cash) કાઢવાની જરૂર રહેતી નથી. દુકાન બહાર લગાવેલો નાનો QR કોડ સ્કેન કરીને તુરંત ચૂકવણું થઈ જાય છે. દેશમાં ડિજિટલ પેમેન્ટની આ આદતને પ્રોત્સાહિત કરવામાં મોટા શોપિંગ મોલ કે મોટી કંપનીઓ કરતાં પણ વધુ મહત્વની ભૂમિકા નાના દુકાનદારો, લારી-ગલ્લા વાળા, ચાની દુકાનદારો અને સ્થાનિક વેપારીઓએ ભજવી છે.
નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, સર્વેમાં સામેલ ૯૪ ટકા નાના વેપારીઓએ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સઇન્ટરફેસ) ને સફળતાપૂર્વક અપનાવી લીધું છે.

અભ્યાસના મુખ્ય આંકડા અને સર્વેની વિગતો
સરકાર દ્વારા આ સ્ટડી રૂપે (RuPay) ડેબિટ કાર્ડ અને ઓછી રકમના BHIM-UPI પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવેલી પ્રોત્સાહક યોજનાઓની અસર સમજવા માટે કરવામાં આવી હતી.
સર્વે વ્યાપ: આ અભ્યાસમાં દેશના ૧૫ રાજ્યોમાંથી ૧૦,૩૭૮ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.
સહભાગીઓ: જેમાં ૬,૧૬૭ યુઝર્સ, ૨,૧૯૯ મર્ચેન્ટ્સ (વેપારીઓ) અને ૨,૦૧૨ સર્વિસ પ્રોવાઇડર્સનો સમાવેશ થતો હતો.
પરિણામ: આંકડા દર્શાવે છે કે UPI હવે માત્ર મોટા શહેરોના વેપારીઓ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં નાના ફેરિયાઓ અને ચાની દુકાનો સુધી પહોંચી ચૂક્યું છે.
ડિજિટલ પેમેન્ટથી નાના વેપારીઓને શું ફાયદો થયો?
સરકારી અહેવાલ મુજબ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવ્યા બાદ નાના વેપારીઓના કારોબારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે:
સંતોષજનક અનુભવ: સર્વેમાં સામેલ ૭૨ ટકા વેપારીઓએ ડિજિટલ પેમેન્ટથી અત્યંત ખુશી વ્યક્ત કરી છે. તેમણે ઝડપી ટ્રાન્ઝેક્શન, હિસાબ રાખવામાં સરળતા અને ધંધો ચલાવવામાં સગવડને તેનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
વેચાણમાં વધારો: ૫૭ ટકા દુકાનદારોએ માન્યું કે ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યા પછી તેમના વેચાણમાં વધારો થયો છે. ગ્રાહક પાસે રોકડ ન હોય તો પણ વેચાણ અટકતું નથી.
પરચૂરણની ઝંઝટમાંથી મુક્તિ: નાના વેપારીઓને રોકડા રૂપિયા સાચવવાની કે પરચૂરણ (ખુલ્લા પૈસા) આપવાની સમસ્યામાંથી મોટી રાહત મળી છે. સાથે જ દરેક ટ્રાન્ઝેક્શનનો ડિજિટલ રેકોર્ડ આપોઆપ તૈયાર થઈ જાય છે.

સરકારી પ્રોત્સાહક યોજનાઓની મહત્વની ભૂમિકા
નાના વેપારીઓ સુધી UPI પહોંચાડવામાં માત્ર QR કોડ જ નહીં, પરંતુ કેન્દ્ર સરકારની નીતિઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી પ્રોત્સાહક યોજના (Incentive Scheme) શરૂ કરી હતી.
આ યોજના હેઠળ બેંકો અને પેમેન્ટ કંપનીઓને નાણાકીય બોનસ તથા સહાય આપવામાં આવી, જેનાથી મર્ચેન્ટ્સ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ખર્ચ શૂન્ય (Zero MDR) અથવા ખૂબ ઓછો રહ્યો. આ સિસ્ટમને કારણે નાના વેપારીઓને જોડવાનો ખર્ચ ઘટ્યો અને ડિજિટલ સિસ્ટમ પ્રત્યે તેમનો વિશ્વાસ મજબૂત થયો છે.
