Hair Care: હેર ઓઈલિંગના જાદુઈ ફાયદા: કેવી રીતે જાળવે છે આ અભિનેત્રીઓ તેમના વાળને સ્વસ્થ?
બોલિવૂડ અભિનેત્રીઓના લાંબા, રેશમી અને ચમકદાર વાળ જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે તેમના વાળ આટલા સુંદર કેવી રીતે રહે છે? સતત શૂટિંગ, કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ, હેર સ્ટાઇલિંગ ટૂલ્સ અને પ્રદૂષણ વચ્ચે પણ તેમના વાળ કેવી રીતે સ્વસ્થ રહે છે? વાસ્તવમાં, આ સુંદરતા પાછળ માત્ર મોંઘા સલૂન ટ્રીટમેન્ટ્સ જ નથી, પરંતુ આપણા ભારતીય ઘરોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત ‘હેર ઓઈલિંગ’ની આદત પણ મુખ્ય જવાબદાર છે.

બોલિવૂડ અભિનેત્રીઓનો હેર કેર સિક્રેટ
૧. દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની પસંદગી: દીપિકા પાદુકોણ નારિયેળ તેલના જાદુમાં દ્રઢ વિશ્વાસ રાખે છે. તે નિયમિતપણે નવશેકા નારિયેળ તેલથી માલિશ કરવાનું પસંદ કરે છે. તેમના મતે, આ તેલ વાળને બહારના પ્રદૂષણ અને તડકાથી સુરક્ષિત રાખે છે. બીજી તરફ, ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા નારિયેળ તેલમાં આમળાના તેલનું મિશ્રણ કરીને લગાવે છે. આમળામાં રહેલું વિટામિન-સી વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે અને કુદરતી કાળાશ જાળવી રાખે છે.
૨. કરીના કપૂર અને અનુષ્કા શર્માનો અનોખો નુસખો: કરીના કપૂર ખાનનું હેર કેર રૂટિન થોડું અલગ અને ખૂબ જ અસરકારક છે. તે નારિયેળ, એરંડિયું (કેસ્ટર), બદામ અને જેતૂન (ઓલિવ) તેલને સમાન માત્રામાં મેળવીને એક ખાસ મિશ્રણ બનાવે છે. આ ચારેય તેલનું સંયોજન વાળને પોષણ આપે છે. અનુષ્કા શર્મા મુખ્યત્વે એરંડિયાના તેલ (Castor Oil) પર આધાર રાખે છે. નિષ્ણાતોના મતે, આમાં રહેલું ‘રિસિનોલિક એસિડ’ સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણને વેગ આપે છે, જે વાળની વૃદ્ધિ (Hair Growth) માટે ખૂબ જ ફાયદાકારક છે.
૩. કેટરીના કૈફ અને માધુરી દીક્ષિતની આયુર્વેદિક ટિપ્સ: કેટરીના કૈફ અને માધુરી દીક્ષિત બંને ઘરગથ્થુ આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવે છે. તેઓ નારિયેળ તેલમાં ડુંગળી, કઢી પત્તા, આમળા અને મેથીના દાણા નાખીને તેને ગરમ કરીને તેલ તૈયાર કરે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર વાળ ખરતા અટકાવે છે, જ્યારે કઢી પત્તા વાળને કુદરતી ચમક આપે છે. મલાઈકા અરોરા પણ આ જ પ્રકારના મિશ્રણમાં કઢી પત્તાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

૪. આલિયા ભટ્ટ અને આર્ગન ઓઈલ: આલિયા ભટ્ટ વાળની સ્મૂધનેસ અને ફ્રિઝનેસ (વાળનું ઉડવું) નિયંત્રિત કરવા માટે આર્ગન ઓઈલનો ઉપયોગ કરે છે. આ તેલ વિટામિન-ઈ થી ભરપૂર હોય છે. તે વાળને ચીકણા કર્યા વગર અંદરથી નમી (Moisture) આપે છે, જેનાથી વાળ રેશમી લાગે છે.
શા માટે હેર ઓઈલિંગ આજે પણ શ્રેષ્ઠ છે?
વિજ્ઞાન પણ હેર ઓઈલિંગના ફાયદાઓનો સ્વીકાર કરે છે. ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ’ (NIH) ના એક અભ્યાસ મુજબ, નારિયેળ તેલ વાળના પ્રોટીનનું નુકસાન ઘટાડવામાં મદદ કરે છે. તેની ખાસ રચના વાળના સૌથી અંદરના સ્તર સુધી પહોંચીને તેમને પોષણ પૂરું પાડે છે. હેર ઓઈલિંગ માત્ર વાળને સુંદર નથી બનાવતું, પરંતુ માથાની ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.
