અનશન પહેલાં તહસીન પૂનાવાલા નજરકેદ: E20 નીતિ સામે આંદોલન રોકવા પોલીસ બળનો ઉપયોગ કર્યાનો દાવો
કેન્દ્ર સરકારની E20 પેટ્રોલ નીતિ (૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) સામે પ્રસ્તાવિત વિરોધ માર્ચ અને આમરણ અનશન પહેલાં જ દેશની રાજધાની દિલ્હીમાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. જાણીતા સામાજિક કાર્યકર્તા તહસીન પૂનાવાલાએ દિલ્હી પોલીસ પર તેમને પોતાના જ ઘરમાં નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શનિવારે તહસીન પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે સરકાર તેમના શાંતિપૂર્ણ આંદોલનથી ગભરાઈ ગઈ છે અને તેમની અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
ઘર બહાર ભારે પોલીસ બંદોબસ્ત અને સોશિયલ મીડિયા વીડિયો
તહસીન પૂનાવાલાએ શેર કરેલા વીડિયોમાં તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત જોવા મળે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું કે દિલ્હી પોલીસની એક મોટી ટીમ, જેમાં મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ છે, સવારથી જ તેમના ઘરની બહાર ગોઠવાઈ ગઈ હતી અને તેમને ઘરની બહાર નીકળતા અટકાવવામાં આવ્યા હતા.
પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને કેન્દ્ર સરકાર E20 પેટ્રોલ નીતિ સામે વધી રહેલા જનઆક્રોશ અને વિરોધ પ્રદર્શનથી ડરી ગયા છે. તેમણે દાવો કર્યો કે નાગરિકોના અધિકારો માટે અવાજ ઉઠાવવાથી તેમને રોકવા માટે જ આ રીતે પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
An entire battalion of @DelhiPolice cops including women officers have put me under house arrest!!
Nitin Gadkari ji sir is scared of #Ethanol. #EthanolScam
BETA BADHAO YOJNA
SUGAR DADDY pic.twitter.com/THLToM1HyE— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) August 1, 2026
‘કોઈ લેખિત આદેશ કે દસ્તાવેજ વિના રોકવામાં આવ્યો’
એક વીડિયોમાં પૂનાવાલા સ્થળ પર હજાર ઉચ્ચ પોલીસ અધિકારી સાથે તીખી ચર્ચા કરતા જોવા મળે છે. તેઓ અધિકારીને પૂછી રહ્યા છે કે કયા કાનૂની આધારે અથવા કઈ કલમ હેઠળ તેમને ઘરમાંથી બહાર નીકળતા રોકવામાં આવી રહ્યા છે.
તેમણે વિરોધ નોંધાવતા કહ્યું કે, “પોલીસ પાસે મને રોકવા માટેનો કોઈ લેખિત આદેશ, નોટિસ કે કાનૂની દસ્તાવેજ નથી. છતાં મને ગેરકાયદેસર રીતે ઘરમાં નજરકેદ કરી દેવાયો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના થોડા દિવસો પહેલા જ એક નાગરિકને પોતાના જ ઘરમાં આ રીતે કેદ કરી દેવો એ લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે.”
E20 પેટ્રોલ નીતિ શું છે અને વિરોધનું કારણ?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાની ‘E20 પોલિસી’ દેશભરમાં અમલી બનાવવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે આનાથી તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણને ફાયદો થશે.
જોકે, વાહનચાલકો, ઓટોમોબાઇલ ક્ષેત્રના નિષ્ણાતો અને સામાજિક કાર્યકર્તાઓ આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે E20 પેટ્રોલના કારણે જૂના વાહનોના એન્જિન ઝડપથી ખરાબ થઈ રહ્યા છે, માઇલેજ ઘટી રહ્યું છે અને વાહન માલિકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. તહસીન પૂનાવાલા આ જ મુદ્દાને લઈને સરકાર સામે અચોક્કસ મુદતના અનશન અને વિરોધ માર્ચની જાહેરાત કરી ચૂક્યા હતા.
પોલીસનો પક્ષ અને આંદોલનનું ભવિષ્ય
આ સમગ્ર ઘટનાક્રમ અંગે દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે અને સુરક્ષાના કારણોસર આ આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં વિના પરવાનગીએ કોઈ પણ પ્રકારની વિરોધ માર્ચ કે ધરણા કરવાની મંજૂરી આપી શકાય નહીં.
બીજી તરફ, પૂનાવાલા અને તેમના સમર્થકોનું કહેવું છે કે સરકાર પોલીસના જોરે જનતાનો અવાજ દબાવી શકશે નહીં. કાનૂની આદેશ વિના હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી સામે તેઓ અદાલતના દરવાજા પણ ખટખટાવી શકે છે. હાલમાં આ ઘટનાને કારણે દિલ્હીના રાજકીય વર્તુળોમાં E20 નીતિ અને નાગરિક અધિકારો અંગેની ચર્ચા ફરી એકવાર તેજ બની છે.
