Cancer Treatment: કેન્સર દર્દીઓ માટે પપૈયાના પાંદડાનો અર્ક કેટલો કારગર? જાણો દાવા અને વિવાદનું સત્ય
શું પપૈયાના પાંદડાનો અર્ક (Papaya Leaf Extract) કેન્સરની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે? દેશની પ્રતિષ્ઠિત ટાટા મેમોરિયલ સેન્ટર (Tata Memorial Centre) દ્વારા કરવામાં આવેલા એક ક્લિનિકલ ટ્રાયલ બાદ આ સવાલ તબીબી ક્ષેત્રે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પપૈયાના પાંદડામાંથી તૈયાર કરાયેલો અર્ક એટલે કે ‘કેરિકા પપૈયા લીફ એક્સ્ટ્રેક્ટ’ (CPLE) કીમોથેરાપી કરાવી રહેલા કેન્સરના દર્દીઓમાં પ્લેટલેટ્સ (Platelets) ને ઝડપથી રિકવર કરવામાં મદદ કરી શકે છે.
The much celebrated Papaya leaf extract for low platelet count in chemotherapy patients has now received an Expression of Concern from the Journal due to doubts regarding fraud after I notified the Journal.https://t.co/IdFzVzWjX1
This is a black spot on Tata Memorial Cancer… pic.twitter.com/oVTeg2HTvb— TheLiverDoc™ (@theliverdoc) July 15, 2026
જોકે, આ રિસર્ચ પેપર પ્રકાશીત થયા બાદ હવે તેના પર એક મોટો વિવાદ ઊભો થયો છે. આ સ્ટડી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી ગ્લોબલ ઓન્કોલોજી’ માં પ્રકાશિત થઈ હતી. પરંતુ બાદમાં કેરળના જાણીતા હેપેટોલોજિસ્ટ ડો. સાયરિએક એબી ફિલિપ્સની ફરિયાદ બાદ જર્નલે આ પેપર પર ‘એક્સપ્રેશન ઓફ કન્સર્ન’ (Expression of Concern) જારી કરી દીધું છે. તેનો અર્થ એવો નથી કે રિસર્ચ ખોટું સાબિત થઈ ગયું છે, પરંતુ જર્નલ હાલમાં ઉઠાવવામાં આવેલા સવાલોની તપાસ કરી રહ્યું છે.
કીમોથેરાપી અને પ્લેટલેટ્સ રિકવરીમાં મદદરૂપ
આ સંશોધનમાં આશરે ૨૦૦ એવા કેન્સર દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેમના પ્લેટલેટ્સ કીમોથેરાપી દરમિયાન ખૂબ જ ઘટી ગયા હતા. આ પરિસ્થિતિને મેડિકલ ભાષામાં ‘કીમોથેરાપી ઈન્ડ્યુસ્ડ થ્રોમ્બોસાઇટોપેનિયા’ કહેવામાં આવે છે. રિસર્ચર્સના જણાવ્યા મુજબ, જે દર્દીઓને CPLE (પપૈયાના પાંદડાનો અર્ક) આપવામાં આવ્યો હતો, તેમના પ્લેટલેટ્સ પ્લેસિબો ગ્રુપ (Placebo Group) ની સરખામણીમાં ચોથા દિવસથી જ ઝડપથી વધવા લાગ્યા હતા.
આટલું જ નહીં, આ દર્દીઓમાં કીમોથેરાપી પાછી ઠેલવાની કે દવાનો ડોઝ ઘટાડવાની જરૂરિયાત પણ ખૂબ ઓછી પડી હતી. સ્ટડી અનુસાર, CPLE લેનારા દર્દીઓમાંથી માત્ર ૨૫ ટકા દર્દીઓને જ ઈલાજમાં વિલંબ કે ડોઝ ઘટાડવો પડ્યો હતો, જ્યારે પ્લેસિબો ગ્રુપમાં આ આંકડો ૪૩ ટકા હતો. આ સપોર્ટિવ ટ્રીટમેન્ટ આશરે ૧૦ દિવસ ચાલે છે અને તેનો ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે.
સંશોધન પર ગંભીર સવાલો અને ક્ષતિઓની શંકા
બીજી તરફ, ‘ધ લિવર ડૉક્ટર’ તરીકે જાણીતા ડો. સાયરિએક એબી ફિલિપ્સે સોશિયલ મીડિયા પર આ રિસર્ચ સામે સવાલો ઉઠાવતા તેને ગંભીર બાબત ગણાવી છે. તેમનું કહેવું છે કે આ સ્ટડીના આંકડા અને પદ્ધતિમાં ગંભીર ગડબડ હોવાની આશંકા છે. તેમના મતે પપૈયાના પાંદડાનો અર્ક લીવર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે, તેથી યોગ્ય અને ચોક્કસ આધાર વગર આવી સારવાર પ્રોત્સાહિત ન કરવી જોઈએ.
ટાટા મેમોરિયલના વૈજ્ઞાનિકોની સ્પષ્ટતા
બીજી તરફ, ટાટા મેમોરિયલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચનો બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે જર્નલ દ્વારા જારી કરવામાં આવેલું ‘એક્સપ્રેશન ઓફ કન્સર્ન’ એ માત્ર તપાસ પ્રક્રિયાનો એક ભાગ છે, તેને કોઈ વૈજ્ઞાનિક ગડબડ કે ગેરરીતિનો પુરાવો માની શકાય નહીં.
સ્ટડીના કો-રાઈટર અને સીનિયર ઓન્કોલોજિસ્ટ ડૉ. કુમાર પ્રભાષે જણાવ્યું હતું કે આ રિસર્ચ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પીઅર રિવ્યુ (Peer Review) બાદ જ તેને પ્રકાશીત કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૦૨૫માં આ સ્ટડીને ‘અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી’ ની વાર્ષિક બેઠકમાં પણ રજૂ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે તબીબી સંશોધનમાં પારદર્શિતા અત્યંત જરૂરી છે અને તપાસમાં સત્ય સામે આવી જશે.
