અનધિકૃત ટ્રાન્ઝેક્શન વિવાદ: સીસીટીવી ફૂટેજ ન આપતાં SBI ને દંડ, જાણો એટીએમ ફ્રોડ થાય તો શું કરવું?
દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીનો ચોક્કસ હિસ્સો ભવિષ્યની બચત માટે બેંકમાં સુરક્ષિત રાખે છે, જેથી જરૂરિયાત મુજબ તે પૈસા ઉપાડી કે જમા કરી શકાય. પરંતુ વિચારો કે, જો તમારી જાણ બહાર અચાનક તમારા ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જાય તો? કોઈપણ વ્યક્તિ આવી ઘટનાથી ગભરાઈ જાય તે સ્વાભાવિક છે. આવો જ એક ગંભીર કિસ્સો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એક ગ્રાહક સાથે બન્યો હતો, જે મામલે ‘દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન’ (ગ્રાહક આયોગ) એ બેંકની બેદરકારી બદલ ગ્રાહકના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

શું હતો સમગ્ર કિસ્સો અને કેવી રીતે ઉપડ્યા પૈસા?
આ ઘટના ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ બની હતી. ગ્રાહકના ખાતામાંથી તેની કોઈપણ જાતની મંજૂરી કે જાણ વગર એક જ દિવસમાં સતત ચાર એટીએમ (ATM) ટ્રાન્ઝેક્શન કરીને ₹૮૦,૦૦૦ ઉપાડી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આ જ દિવસે ₹૪૦,૦૦૦ અને ₹૧૦,૦૦૦ ના બે અલગ-અલગ ઓનલાઈન બેંક ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા. આ રીતે ગ્રાહકના ખાતામાંથી કુલ ₹૧.૩૦ લાખની રકમ ગાયબ કરી દેવામાં આવી હતી.
ગ્રાહકને જ્યારે પોતાની પાસબુક અપડેટ કરાવી ત્યારે આ અનધિકૃત ટ્રાન્ઝેક્શન વિશે ખબર પડી હતી. તુરંત જ ગ્રાહકે બેંકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બેંક તરફથી કોઈ યોગ્ય સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે ગ્રાહક આયોગના દરવાજા ખટખટાવ્યા હતા.
બેંક પુરવા રજૂ કરવામાં નિષ્ફળ રહી અને કમિશનનો ચુકાદો
ગ્રાહકે પોતાની ફરિયાદ સાબિત કરવા અને પૈસા કોણે ઉપાડ્યા છે તે જાણવા માટે એટીએમ સેન્ટરના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટ્રાન્ઝેક્શન રેકોર્ડની માંગણી કરી હતી. પરંતુ બેંક આયોગ સમક્ષ આ ટ્રાન્ઝેક્શનને લગતા કોઈ પણ સીસીટીવી ફૂટેજ કે પુરાવા રજૂ કરી શકી ન હતી.
બેંકની આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર કમિશને ગ્રાહકના પક્ષમાં ચુકાદો આપતા બેંકને નીચે મુજબના આદેશો આપ્યા:
ગ્રાહક આયોગનો ચુકાદો: ૧. બેંકે ગ્રાહકના ખાતામાંથી ઉપાડી લેવાયેલી મૂળ રકમ ₹૧.૩૦ લાખ પૂરેપૂરી પરત કરવી.
૨. ઘટનાની તારીખ (૧૨ ઓક્ટોબર ૨૦૧૮) થી રકમ પરત મળે ત્યાં સુધી વાર્ષિક ૬ ટકાના દરે વ્યાજ ચૂકવવું.
૩. ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ બદલ ₹૧૦,૦૦૦ નું વધારાનું માનસિક વળતર આપવું.

એટીએમ કે બેંક ફ્રોડ થાય ત્યારે તુરંત કરવા જેવા મહત્વપૂર્ણ કામો
જો તમારા બેંક ખાતામાંથી પણ કોઈ અજાણ્યું ટ્રાન્ઝેક્શન થાય અથવા નાણાં ગાયબ થઈ જાય, તો ગભરાયા વગર તુરંત જ નીચે મુજબના પગલાં ભરવા જોઈએ:
તુરંત બેંકને જાણ કરો: અનધિકૃત ટ્રાન્ઝેક્શન થતાં જ તુરંત બેંકના કસ્ટમર કેર કે શાખાનો સંપર્ક કરો.
કાર્ડ બ્લોક કરાવો: જો એટીએમ ફ્રોડ થયો હોય તો તમારું એટીએમ/ડેબિટ કાર્ડ તુરંત જ બ્લોક કરાવો.
ટ્રાન્ઝેક્શન વિગત નોંધો: ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય, રકમ અને મેસેજ કે એસએમએસ સુરક્ષિત રાખો.
લેખિત ફરિયાદ આપો: બેંક શાખામાં જઈને આધાર-પુરાવા સાથે લેખિત ફરિયાદ દાખલ કરો અને તેની પહોંચ (Acknowledgment) મેળવો.
સાયબર ક્રાઈમ / પોલીસ એફઆઈઆર: નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર તુરંત એફઆઈઆર (FIR) નોંધાવો.
સીસીટીવી ફૂટેજની માંગ: એટીએમ ફ્રોડના કિસ્સામાં બેંક પાસે સત્તાવાર રીતે સીસીટીવી ફૂટેજ અને ટ્રાન્ઝેક્શન લોગ્સની માંગણી કરો.
