બિલ ભરવાનું રહી ગયું? ગભરાશો નહીં! રિઝર્વ બેંકના નવા નિયમો તમને બચાવશે વધારાના ચાર્જથી
RBI દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ, ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં રાહત આપવા માટે નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:
૩ દિવસનો ફરજિયાત ‘ગ્રેસ પીરિયડ’
હવે જો તમે તમારા ક્રેડિટ કાર્ડની છેલ્લી તારીખે બિલ ભરી શકતા નથી, તો બેંક તમારા પર તરત જ લેટ પેમેન્ટ ચાર્જ લગાવી શકશે નહીં. RBI એ તમામ બેંકો માટે ૩ દિવસનો ગ્રેસ પીરિયડ આપવો ફરજિયાત બનાવ્યો છે.
ઉદાહરણ: જો તમારા બિલની છેલ્લી તારીખ ૫ મે હોય, તો તમે ૮ મે સુધી કોઈપણ વધારાના લેટ ફી ચાર્જ વગર બિલ ભરી શકશો. આ ૩ દિવસ દરમિયાન બેંક તમારા પર દંડ લાદી શકશે નહીં.

વ્યાજની ગણતરીમાં ફેરફાર
નવા નિયમ મુજબ, જો વિલંબ થાય તો લેટ ફી માત્ર બાકી રહેલી રકમ (Outstanding Amount) પર જ વસૂલવામાં આવશે, નહીં કે આખા બિલની રકમ પર. આનાથી ગ્રાહકો પર વ્યાજનો બોજ ઘટશે. અગાઉ બેંકો ઘણીવાર આખા બિલ પર વ્યાજ વસૂલતી હતી, જે ગ્રાહકો માટે મોટું નુકસાન હતું.
ક્રેડિટ સ્કોર અને પારદર્શિતા
ક્રેડિટ સ્કોર: તમારો એકાઉન્ટ ત્યારે જ ‘ડીફોલ્ટ’ ગણાશે જ્યારે આ ૩ દિવસનો ગ્રેસ પીરિયડ પણ પૂરો થઈ જાય. એટલે કે, જો તમે આ ૩ દિવસમાં બિલ ભરી દો છો, તો તમારા સિબિલ (CIBIL) સ્કોર પર તેની કોઈ નકારાત્મક અસર પડશે નહીં.
નોટિફિકેશન: જો બેંક લેટ ફી અથવા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરે છે, તો તેની જાણ ગ્રાહકને ઓછામાં ઓછા એક મહિના પહેલા કરવી પડશે.

