US Iran War: પાકિસ્તાનનો ‘શાંતિ દૂત’ હોવાનો દાવો પોકળ: અમેરિકા-ઈરાન મધ્યસ્થીના નામે દુનિયાને ગેરમાર્ગે દોરવાનું મોટું કાવતરું
પાકિસ્તાન પોતાની જાતને ઈરાન અને અમેરિકા વચ્ચેના ‘શાંતિ દૂત’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. પાકિસ્તાને દુનિયાને એવું માનવા મજબૂર કરી દીધું હતું કે તે બે કટ્ટર હરીફ દેશોને વાટાઘાટોની મેજ પર લાવી રહ્યું છે, જ્યારે હકીકતમાં આ બધું ખોટા સમાચારો અને પ્રચાર (Propaganda) સિવાય બીજું કંઈ નહોતું.
કેવી રીતે રચાયું જુઠ્ઠાણું?
હકીકત એ હતી કે ઈરાનના અધિકારીઓ અમેરિકાને મળવા માટે બિલકુલ તૈયાર નહોતા. તેમ છતાં, પાકિસ્તાન સરકારે સતત એવો માહોલ બનાવ્યો જાણે કોઈ મોટી ઐતિહાસિક બેઠક યોજાવા જઈ રહી હોય. આ આખી પ્રક્રિયામાં પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે પત્રકારો અને મીડિયા સંસ્થાઓને એવી ખોટી માહિતી આપી કે એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી પણ તેમના ઝાંસામાં આવી ગઈ અને ખોટો અહેવાલ પ્રસિદ્ધ કર્યો.

વાટાઘાટો નિષ્ફળ, પણ પ્રચાર ચાલુ રહ્યો
ઇસ્લામાબાદમાં પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે કહેવાતી ‘શાંતિ વાટાઘાટો’ તો ગોઠવી હતી, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ઈરાન પોતાની શરતો પર અડગ હતું, તેથી આગળ વાત વધવાની કોઈ આશા નહોતી. તેમ છતાં, પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા બચાવવા પાકિસ્તાને દુનિયા સમક્ષ જુઠ્ઠાણું ફેલાવ્યું કે વાતચીત ઘણી સારી ચાલી રહી છે.
પાકિસ્તાન તરફથી એવા અહેવાલો વહેતા કરવામાં આવ્યા હતા કે:
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી એક નાની ટીમ સાથે ઈસ્લામાબાદ પહોંચશે.
અમેરિકાની એક સુરક્ષા અને લોજિસ્ટિક્સ ટીમ પહેલેથી જ ઈસ્લામાબાદમાં હાજર છે.
પાકિસ્તાની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો શરૂ થશે.
ઈરાનની સ્પષ્ટ ના અને પાકિસ્તાનની લુચ્ચાઈ
ઈરાની નેતાઓએ પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું હતું કે જ્યાં સુધી અમેરિકા તેમના દરિયાઈ વેપાર (Shipping) પરના પ્રતિબંધો હટાવશે નહીં, ત્યાં સુધી તેઓ કોઈ અમેરિકન પ્રતિનિધિને મળશે નહીં. વિદેશ મંત્રી અરાઘચી ઈસ્લામાબાદ કોઈ ‘શાંતિ વાટાઘાટો’ માટે નહીં, પરંતુ પોતાની ફરિયાદો રજૂ કરવા આવ્યા હતા. તેમ છતાં પાકિસ્તાને બેશરમીથી એવો પ્રચાર કર્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી સફળ થઈ રહી છે.
પત્રકારે ખોલી પાકિસ્તાની સેનાની પોલ
જાણીતા પત્રકાર રયાન ગ્રિમ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. તેમણે લખ્યું, “ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી ગત અઠવાડિયે ફરીથી વાતચીત શરૂ કરવાના હોય તે વાત ક્યારેય સાચી હતી જ નહીં. પાકિસ્તાનીઓએ દુનિયા સાથે આટલું મોટું જૂઠ કેમ બોલ્યું?” તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR એ જ પત્રકારોને આ ખોટી માહિતી મોકલી હતી જેથી પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે ‘જરૂરી’ દેશ તરીકે બતાવી શકાય.
