મોંઘવારીનો માર: દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો, ‘કાંદા એક્સપ્રેસ’ દ્વારા રાહત આપવા સરકારનો પ્રયાસ
દેશભરમાં રસોડાની ઓળખ ગણાતી ડુંગળી ફરી એકવાર સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવી રહી છે. દેશના વિવિધ ભાગોમાં ડુંગળીના છૂટક ભાવમાં સખત વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થાનિક બજારોમાં ડુંગળીનો ભાવ કિલો દીઠ ૮૦ રૂપિયા સુધી પહોંચી ગયો હોવાના અહેવાલો છે. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે પોતાના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવી, સસ્તા દરે વેચાણ કરવું અને ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેન મારફતે મોટા શહેરો સુધી પુરવઠો પહોંચાડવા જેવા મહત્વના પગલાં ભર્યા છે. છતાં પણ ઘણા વિસ્તારોમાં લોકોને મોંઘી ડુંગળી ખરીદવાની ફરજ પડી રહી છે.

જોકે, સરકારી આંકડા અનુસાર દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ કિલો દીઠ આશરે ૩૭.૮૭ રૂપિયા નોંધાયો હતો. આનો અર્થ એ થાય છે કે ૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ સમગ્ર દેશનો સરેરાશ ભાવ નથી, પરંતુ માત્ર કેટલાક ચોક્કસ વિસ્તારો કે બજારો પુરતો જ મર્યાદિત છે.
ડુંગળીના ભાવ વધવા પાછળના મુખ્ય કારણો
ડુંગળીની કિંમતોમાં તાજેતરમાં થયેલા આ વધારા પાછળ ઋતુગત માંગ (Seasonal Demand), સપ્લાય ચેઈનની સમસ્યાઓ અને અમુક વિસ્તારોમાં અચાનક આવેલી માંગ જવાબદાર માનવામાં આવે છે. સરકારે પણ સ્વીકાર્યું છે કે આગામી તહેવારોની સીઝન અને લગ્નગાળાને કારણે બજારમાં ડુંગળીની માંગ વધતાં ભાવો પર દબાણ આવી શકે છે.
આ ઉપરાંત, મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં હવામાન અને પાકની પરિસ્થિતિએ પણ બજારને અસર કરી છે. મહારાષ્ટ્રનું નાસિક એ દેશનું સૌથી મોટું ડુંગળી ઉત્પાદક ક્ષેત્ર છે, જ્યાંથી દેશના ખૂણે-ખૂણે ડુંગળી પહોંચાડવામાં આવે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનને લઈને હાલ કોઈ મોટી ચિંતા નથી. વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડુંગળીનું ઉત્પાદન આશરે ૩૦૭.૩૭ લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ૩૦૭.૬૭ લાખ મેટ્રિક ટનના ઉત્પાદનની સાવ નજીક છે.
પરિસ્થિતિને પહોંચી વળવા સરકારના પગલાં
બજારમાં વધતા ભાવને અટકાવવા માટે કેન્દ્ર સરકારે પોતાના ઈમરજન્સી બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો ખુલ્લા બજારમાં મુકવાનું શરૂ કરી દીધું છે. સરકારે માહિતી આપી છે કે આ પુરવઠો ઝડપથી પહોંચાડવા માટે રેલવે અને માર્ગ પરિવહન (Road Transport) બંનેનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં બજારભાવમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે તેવા મુખ્ય વપરાશ કેન્દ્રો અને શહેરોમાં ડુંગળી પ્રાથમિકતાના ધોરણે મોકલવામાં આવી રહી છે.

‘કાંદા એક્સપ્રેસ’ મારફતે સપ્લાય અને સસ્તા દરનું વેચાણ
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ડુંગળીની કટોકટી ઉકેલવા સરકારે વિશેષ ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેન સેવાની શરૂઆત કરી છે. નાસિકથી આશરે ૪૫૩.૬૫ ટન ડુંગળી લઈને પહેલી સ્પેશિયલ ટ્રેન દિલ્હી પહોંચી ગઈ છે.
આ અગાઉ પણ સરકારે દિલ્હીમાં બફર સ્ટોકની ડુંગળી રૂ. ૩૫ પ્રતિ કિલોના રાહત દરે વેચવાની વ્યવસ્થા કરી હતી. ગ્રાહકોને સીધો લાભ મળે તે માટે NCCF અને NAFED દ્વારા મોબાઈલ વાન અને પોતાના આઉટલેટ્સ મારફતે સસ્તા દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
૩૫ રૂપિયા વાળી ડુંગળીથી ગ્રાહકોને કેટલી રાહત?
કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૩૫ પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ બજારના છૂટક ભાવ કરતાં ઘણું ઓછું છે. આ પગલાથી સામાન્ય વર્ગને સીધો આર્થિક ટેકો મળ્યો છે અને ખુલ્લા બજારમાં વ્યાપારીઓ દ્વારા વસૂલાતા અનિયંત્રિત ભાવો પર દબાણ ઘટ્યું છે.
જોકે, પડકાર એ છે કે આ સસ્તી સરકારી ડુંગળી દરેક વિસ્તારમાં ઉપલબ્ધ નથી. હાલ પૂરતું આ વેચાણ માત્ર ચોક્કસ કેન્દ્રો અને મોબાઈલ વાન પૂરતું મર્યાદિત હોવાથી સામાન્ય લોકોને તમામ જગ્યાએ તેનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં, પુરવઠો વધવાની સાથે ટૂંક સમયમાં ભાવો સામાન્ય થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
