Health Care: શું તમે પણ રાત્રે મોડા જમો છો? એસિડ રિફ્લક્સ અને ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્થ એલર્ટ
આજની આધુનિક અને ભાગદોડ ભરેલી જિંદગીમાં ઓફિસના કામના લાંબા કલાકો અથવા નાઈટ શિફ્ટના કારણે ઘણા લોકો રાત્રે ખૂબ મોડું ભોજન લેતા હોય છે. કેટલાક લોકો માટે આ રોજિંદી આદત બની ચૂકી છે. પરંતુ શું આ આદત ખરેખર સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? ડાયેટ એક્સપર્ટ્સ અને તબીબોનું કહેવું છે કે આનો જવાબ દરેક વ્યક્તિ માટે એકસરખો હોઈ શકતો નથી. મોડી રાત્રે ખાવાની અસર તમારી શારીરિક સ્થિતિ, લાઈફસ્ટાઈલ અને તમને પહેલાથી કોઈ બીમારી છે કે નહીં તેના પર નિર્ભર કરે છે.

એસિડ રિફ્લક્સ (Acid Reflux) ની સમસ્યામાં વધારો
યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટરના એક સંશોધન અનુસાર, જો કોઈ વ્યક્તિને એસિડ રિફ્લક્સ અથવા ડાયાબિટીસ જેવી તકલીફ હોય, તો મોડી રાત્રે ભારે ખોરાક લેવાથી તેની પરેશાની બમણી થઈ શકે છે.
એસિડ રિફ્લક્સ એટલે શું? આ એવી સ્થિતિ છે જેમાં પેટમાં ખોરાક પચાવવા માટે બનતું એસિડ પાચનતંત્રની ઉપરની તરફ એટલે કે અન્નનળીમાં આવી જાય છે.
જ્યારે તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, ત્યારે ગુરુત્વાકર્ષણ બળ યોગ્ય રીતે કામ ન કરવાને કારણે આ એસિડ ઉપર આવે છે, જેના લીધે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને ગળામાં અસહ્ય બળતરા જેવી સમસ્યાઓ થાય છે. તેથી, આવા દર્દીઓએ સૂવાના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલાં રાત્રિ ભોજન (ડિનર) પતાવી લેવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે મોટું જોખમ
ડાયાબિટીસ (મધુપ્રમેહ) ના દર્દીઓ માટે પણ મોડી રાત્રે જમવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિયત સમય કરતાં મોડું ભોજન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર અચાનક વધી કે ઘટી શકે છે. આના કારણે રાતની ઊંઘ પ્રભાવિત થાય છે અને બીજા દિવસે સવારે ભૂખ લાગવાની પેટર્ન પણ અસામાન્ય બની જાય છે. આવા લોકોએ હંમેશા ડૉક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ મુજબ જ પોતાના ભોજનનો સમય નક્કી કરવો જોઈએ.
જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો અને કોઈ ગંભીર બીમારીથી પીડાતા નથી, તો ક્યારેક ક્યારેક મોડું જમવું મોટી સમસ્યા નથી. તેમ છતાં, નિષ્ણાતો કહે છે કે માત્ર કંટાળો (બોરિયત) દૂર કરવા કે જાગતા હોવાના કારણે ખાવાની આદતથી બચવું જોઈએ.
રાત્રિના સમયે કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ?
તમે રાત્રે ‘ક્યારે’ ખાઓ છો તેની સાથે જ ‘શું’ ખાઓ છો તે પણ એટલું જ મહત્વનું છે. જો તમને પાચનની સમસ્યા હોય તો સોડા, તળેલા પદાર્થો, ચીઝ, ઈંડા અને વધુ પડતી ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું ટાળો. તેના બદલે હળવા નટ્સ, નટ બટર અથવા પ્લાન્ટ બેઝ્ડ (વનસ્પતિજન્ય) હળવો નાસ્તો લઈ શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ એવો નાસ્તો પસંદ કરવો જોઈએ જેમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટનું સારું સંતુલન હોય, જેથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે. વધુમાં, દાંતના સ્વાસ્થ્ય માટે પણ મોડી રાત્રે ગળી અથવા વધુ કાર્બોહાઇડ્રેટ ધરાવતી વસ્તુઓ ખાવી હિતાવહ નથી, કારણ કે તે મોંમાં લાંબા સમય સુધી શુગર છોડે છે, જેનાથી કેવિટી (દાંતનો સડો) થવાનું જોખમ વધી જાય છે. તેથી રાત્રે કંઈપણ ખાધા પછી બ્રશ કરવું અનિવાર્ય છે.

રાત્રે અચાનક ભૂખ લાગે તો શું કરવું?
જો તમને રોજ રાત્રે મોડેથી ભૂખ લાગતી હોય, તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે દિવસ દરમિયાન પૂરતો ખોરાક ન લેવો, માનસિક તણાવ, પૂરતી ઊંઘ ન મળવી, અથવા શરીરમાં પ્રોટીન અને ફાઈબરની ઉણપ હોવી.
સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરો કે આ ભૂખ સાચી છે કે માત્ર એક આદત કે કંટાળો છે. જો ખરેખર ભૂખ લાગી હોય તો જ મખાના કે ઓટ્સ જેવો કોઈ હળવો અને પૌષ્ટિક આહાર લો, પરંતુ જો તે માત્ર એક આદત હોય તો રાત્રે સ્ક્રીન ટાઈમ ઓછો કરીને અને સમયસર સૂઈ જઈને આ આદતને ધીમે-ધીમે બદલવાનો પ્રયત્ન કરો.
