Cancer Risk: રસોડામાં છુપાયેલું છે ‘ધીમું ઝેર’: પ્લાસ્ટિક અને નોન-સ્ટિક વાસણો વાપરતા પહેલા આ વાંચો
આપણે બધા આપણા ઘર અને રસોડાને સાફ-સુથરું રાખવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં વપરાતી કેટલીક સામાન્ય વસ્તુઓ જ તમારી જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે છે? આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ધીમે ધીમે શરીરમાં ઝેરી તત્વો (Toxins) પહોંચાડે છે. આ ઝેરી તત્વો લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે. જો તમે પણ તમારા પરિવારને સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો જાણો કઈ વસ્તુઓને આજે જ કિચનમાંથી વિદાય આપવી જોઈએ.

1. કિચન સ્પોન્જ: બેક્ટેરિયાનું ઘર
વાસણ સાફ કરવા માટે વપરાતો સ્પોન્જ ઉપરથી ભલે સાફ દેખાય, પણ તે હકીકતમાં બેક્ટેરિયાનું સૌથી મોટું કેન્દ્ર છે. સ્પોન્જના નાના છિદ્રોમાં ભેજ અને ખોરાકના કણો ફસાયેલા રહે છે, જે સાલ્મોનેલા અને ઇ-કોલી જેવા ખતરનાક બેક્ટેરિયાને જન્મ આપે છે. જ્યારે તમે તે જ સ્પોન્જથી બીજા વાસણો સાફ કરો છો, ત્યારે આ બેક્ટેરિયા વાસણો દ્વારા તમારા શરીરમાં પહોંચે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ઉપાય: દર અઠવાડિયે સ્પોન્જ બદલો અથવા તેને બદલે સુતરાઉ કપડા કે નાળિયેરના કૂચાનો ઉપયોગ કરો.
2. પ્લાસ્ટિકના વાસણો અને કન્ટેનર
રસોડામાં વપરાતા પ્લાસ્ટિકના ડબ્બા, બોટલ અને પ્લાસ્ટિકના ચોપિંગ બોર્ડ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ખાસ કરીને જ્યારે પ્લાસ્ટિકના વાસણમાં ગરમ ખોરાક રાખવામાં આવે છે અથવા તેને માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાંથી ‘બિફેનિલ-એ’ (BPA) અને માઇક્રો-પ્લાસ્ટિક જેવા કેમિકલ્સ ખોરાકમાં ભળી જાય છે. આ કેમિકલ્સ હોર્મોનલ અસંતુલન અને કેન્સર જેવી સમસ્યાઓ નોંતરે છે. ઉપાય: પ્લાસ્ટિકને બદલે કાચ, સ્ટીલ અથવા સિરામિકના વાસણોનો ઉપયોગ શરૂ કરો.
3. એલ્યુમિનિયમ ફોઇલ અને વાસણો
આજકાલ ગરમ રોટલી કે ટિફિન પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. જોકે, નિષ્ણાતો માને છે કે એલ્યુમિનિયમમાં ગરમ, ખાટી અથવા નમકીન વસ્તુઓ રાખવાથી ધાતુના કણો ખોરાકમાં ઓગળી જાય છે. શરીરમાં એલ્યુમિનિયમનું વધુ પડતું પ્રમાણ યાદશક્તિમાં ઘટાડો (અલ્ઝાઈમર) અને હાડકાની બીમારીઓનું કારણ બની શકે છે. ઉપાય: ટિફિનમાં ફોઇલને બદલે સુતરાઉ કાપડનો ઉપયોગ કરો અને રસોઈ માટે લોખંડ કે સ્ટીલના વાસણો પસંદ કરો.

4. નોન-સ્ટિક પેન (Teflon Coating)
નોન-સ્ટિક વાસણોમાં રસોઈ બનાવવી સરળ છે કારણ કે તેમાં તેલ ઓછું વપરાય છે, પરંતુ તેની કોટિંગ (PTFE) જોખમી છે. જો નોન-સ્ટિક પેન પર સ્ક્રેચ પડ્યા હોય અથવા તેને વધુ પડતી ગરમી પર ગરમ કરવામાં આવે, તો તેમાંથી ઝેરી ધુમાડો અને કેમિકલ્સ નીકળે છે. આ તત્વો સીધા લિવર અને ફેફસાં પર હુમલો કરે છે. ઉપાય: જો નોન-સ્ટિક પેનની કોટિંગ ઉખડવા લાગે, તો તેને તરત જ ફેંકી દો. કાસ્ટ આયર્ન (લોખંડ) ના વાસણો એક ઉત્તમ વિકલ્પ છે.
5. રિફાઈન્ડ તેલનો ફરીથી ઉપયોગ
ઘણીવાર આપણે પૂરી કે ભજીયા તળ્યા પછી વધેલા તેલનો ફરીથી ઉપયોગ કરીએ છીએ. તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ‘ફ્રી રેડિકલ્સ’ પેદા થાય છે, જે કેન્સર કોષોને પ્રોત્સાહન આપે છે. તે હૃદયની નળીઓમાં બ્લોકેજ પણ કરી શકે છે.
