હવે સ્થાનિક જ્વેલર્સ પાસે સોનું જમા કરાવીને કરો કમાણી, જાણો સરકારનો માસ્ટરપ્લાન
રોકાણ માટે હાલમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) જેવા અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ હવે ટૂંક સમયમાં ઘરમાં પડેલા સોનામાંથી પણ કમાણી કરવાનો નવો રસ્તો ખુલી શકે છે. ભારતમાં લોકો પાસે તિજોરીમાં બિનઉપયોગી પડેલા સોના પર ઘરબેઠા સારું વ્યાજ મેળવવાની નવી તક આપવા માટે સરકાર એક મહત્વકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેશના ઘરોમાં રહેલું ‘નિષ્ક્રિય’ સોનાને દેશના અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.

શું છે સરકારનો નવો માસ્ટરપ્લાન?
ભારત સરકાર ટૂંક સમયમાં એક નવો ગોલ્ડ મોનેટાઇઝેશન પ્લાન રજૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ સામાન્ય નાગરિકો પોતાની પાસે રહેલા સોનાના સિક્કા, દાગીના કે ગોલ્ડ બારને બેંકના લાંબા ચક્કર કાપવાને બદલે નજીકના માન્યતા પ્રાપ્ત (Certified) જ્વેલર્સ પાસે જમા કરાવી શકશે. જ્વેલર પાસે સોનું જમા કરાવવાના બદલામાં ગ્રાહકોને નિયમિત વ્યાજ આપવામાં આવશે. હાલમાં સરકાર આ યોજનાના નીતિ-નિયમો અને પ્રક્રિયાને અંતિમ રૂપ આપી રહી છે.
જ્વેલર્સ અને વેપારીઓ સાથે બેઠકો શરૂ
હાલના તબક્કે સરકાર આ યોજનાનું માળખું તૈયાર કરવા માટે જ્વેલરી ક્ષેત્રના મોટા વેપારીઓ અને એસોસિએશન સાથે તબક્કાવાર ચર્ચા-વિચાર્ણા કરી રહી છે. કારણ કે આ સમગ્ર સ્કીમમાં જ્વેલર્સની ભૂમિકા સૌથી મહત્વની રહેશે. ગ્રાહકોના સોનાની શુદ્ધતા ચકાસવાથી લઈને તેને જમા કરવાની કામગીરી સ્થાનિક જ્વેલર્સ દ્વારા જ કરવામાં આવશે. જોકે, સરકાર તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
ભારતીય પરિવાર પાસે વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં સોનું ઉપલબ્ધ છે. જો આ સોનાનો એક નાનો હિસ્સો પણ બજારમાં ફોર્મલ સિસ્ટમમાં આવી જાય, તો દેશ માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
આયાતમાં ઘટાડો: બજારમાં સોનાનો પુરવઠો વધવાથી વિદેશથી સોનાની આયાત (Gold Import) ઓછી કરવી પડશે, જેનાથી દેશનું વિદેશી મુદ્રા ભંડોળ બચશે.
રોકાણમાં વધારો: આ નાણાંનો ઉપયોગ દેશના આર્થિક વિકાસ અને અન્ય રોકાણો માટે કરી શકાશે.

2015ની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમથી આ નવી યોજના કેવી રીતે અલગ હશે?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2015 માં પણ ‘ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ’ (GMS) શરૂ કરી હતી. પરંતુ તે સ્કીમમાં સોનું જમા કરાવવા માટે ગ્રાહકોએ બેંકો અથવા મર્યાદિત કલેક્શન એન્ડ ટેસ્ટિંગ સેન્ટર્સ (CETC) પર જવું પડતું હતું, જે પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી. 2025 સુધીના આંકડા મુજબ 10 વર્ષમાં આ યોજના હેઠળ માત્ર 38 ટન સોનું જ એકત્ર થઈ શક્યું હતું. આ જટિલતાને દૂર કરવા માટે હવે નવી યોજનામાં સ્થાનિક જ્વેલર્સને સીધા જ સાંકળવામાં આવી રહ્યા છે, જેથી સામાન્ય લોકો સરળતાથી યોજનાનો લાભ લઈ શકે.
