FSSAI નો મોટો નિર્ણય: ખાદ્ય પદાર્થોમાં અશ્વગંધાના પાન વાપરવા પર પ્રતિબંધ
ભારતની ખાદ્ય નિયામક સંસ્થા FSSAI એ એક મહત્વની એડવાઈઝરી બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે હવેથી કોઈપણ ખાદ્ય પદાર્થ, સપ્લીમેન્ટ કે ન્યુટ્રાસ્યુટિકલમાં અશ્વગંધાના પાનનો ઉપયોગ કરી શકાશે નહીં. અત્યાર સુધીના નિયમો મુજબ, માત્ર અશ્વગંધાના મૂળ (Root) અને તેના અર્કને જ ખાવા-પીવાની વસ્તુઓમાં વાપરવાની મંજૂરી છે. પરંતુ તાજેતરમાં કેટલીક કંપનીઓ દ્વારા તેના પાનનો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી બહાર આવતા સુરક્ષાના કારણોસર આ કડક પગલું લેવામાં આવ્યું છે.
FSSAI એ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ચેતવણી આપી છે કે અશ્વગંધાના પાનનો કાચો અથવા અર્ક તરીકે ઉપયોગ કરવો તે ફૂડ સેફ્ટી એક્ટ 2006 ના નિયમોનું ઉલ્લંઘન ગણાશે. આ સાથે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ બજારમાં મળતા ઉત્પાદનોની કડક તપાસ કરે અને નિયમનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોના સ્વાસ્થ્યની રક્ષા અને ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખવાનો છે.
બજારમાં વધતી જતી હર્બલ ટી, પ્રોટીન પાવડર અને અન્ય વેલનેસ સપ્લીમેન્ટ્સની માંગ વચ્ચે કેટલીક કંપનીઓ નિયમોની અવગણના કરી રહી હતી. આ મામલે આયુષ મંત્રાલયે પણ કડક વલણ અપનાવ્યું છે અને આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓને અશ્વગંધાના પાનનો ઉપયોગ ટાળવા સૂચના આપી છે. આ માર્ગદર્શિકા મુજબ માત્ર મૂળનો જ નિર્ધારિત માત્રામાં ઉપયોગ કરી શકાશે.
નિર્ણયના મુખ્ય મુદ્દાઓ:
નવો પ્રતિબંધ: ખાદ્ય ઉત્પાદનો અને સપ્લીમેન્ટ્સમાં અશ્વગંધાના પાન (Leaves) વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મંજૂરી: નિયમો અનુસાર માત્ર અશ્વગંધાના મૂળ અને તેના અર્કનો જ ઉપયોગ માન્ય ગણાશે.
કાયદેસરની કાર્યવાહી: નિયમ તોડનાર કંપનીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કડક દંડ અને કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓને સૂચના: રાજ્યના ખાદ્ય સુરક્ષા અધિકારીઓને બજારમાં સતત દેખરેખ રાખવા અને સેમ્પલ ચેક કરવાના આદેશ અપાયા છે.
આયુષ મંત્રાલયનું વલણ: મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે આયુર્વેદિક ઉત્પાદનોમાં પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય માપદંડોની વિરુદ્ધ હોઈ શકે છે.
