ભય નહીં વિશ્વાસ: પશ્ચિમ બંગાળમાં જૂના કાયદા રદ, ત્રણ નવા ગુનાહિત કાયદા લાગુ થતાં મોટો રાજકીય ફેરફાર
સિલીગુડીમાં આયોજિત એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની રાજકીય અને કાયદાકીય સ્થિતિ અંગે અત્યંત મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. તેમણે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં અરાજકતા, ભય અને ભ્રષ્ટાચારનું શાસન હવે અંતના આરે છે. ભાજપ સરકારના આગમન સાથે જ રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનો નવો સૂર્યોદય થયો છે.

ત્રણ નવા ગુનાહિત કાયદા અને બંગાળમાં તેનો અમલ
ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર દેશમાં અંગ્રેજોના જમાનાના જૂના કાયદાઓ બદલીને ત્રણ નવા ભારતીય ગુનાહિત કાયદા (ક્રિમિનલ લો) લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “પૂર્વ મુખ્યમંત્રીએ આ કાયદાઓ લાગુ કરવાનું નોટિફિકેશન એટલા માટે જાહેર નહોતું કર્યું, કારણ કે તેમને ડર હતો કે નવા કાયદાઓ આવવાથી રાજ્યમાંથી સિંડિકેટ રાજ, કટ મની, ગેરકાયદે ટોલ ટેક્સ અને ભયનું સામ્રાજ્ય સંપૂર્ણપણે ખતમ થઈ જશે.”
તેમણે ઉમેર્યું કે ભાજપે બંગાળની જનતાને વિશ્વાસ અને સુશાસન આપવાનું વચન આપ્યું હતું. રાજ્યમાં ભાજપની સરકાર બનતાની સાથે જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતાની સાથે જ જે પહેલી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા, તે આ ત્રણ નવા ગુનાહિત કાયદાઓને બંગાળમાં લાગુ કરવાની અને બ્રિટિશકાળના જૂના કાયદાઓને નાબૂદ કરવાની હતી.
રવીન્દ્ર સંગીતથી બોમ્બ વિસ્ફોટો સુધી: બંગાળની બદલાયેલી સ્થિતિ
સિલીગુડીના કાવખાલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ‘નશા મુક્ત ભારત અબિયાન’ હેઠળના એક મહત્ત્વપૂર્ણ સંસ્થાનનું ઉદ્ઘાટન કરતી વખતે અમિત શાહે બંગાળની વિસરાયેલી સંસ્કૃતિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, “જે બંગાળ એક સમયે મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરના રવીન્દ્ર સંગીતથી ગુંજી ઉઠતું હતું, તે મમતા બેનર્જીના શાસનમાં બોમ્બ વિસ્ફોટો અને હિંસાના ડરમાં જીવવા મજબૂર બન્યું હતું. રાજ્યમાં એસિડ અટેકની ઘટનાઓ સતત વધતી રહી અને તેના પર કોઈ રોક ન લાગી.”
તદુપરાંત, તેમણે રાજ્યમાં બનેલી મહિલા વિરુદ્ધના ગુનાઓની ગંભીર ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આર.જી. કર મેડિકલ કોલેજની અમાનુષી ક્રૂરતા હોય, સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારો હોય, દુર્ગાપુર મેડિકલ કોલેજમાં દુષ્કર્મની ઘટના હોય કે સાઉથ કોલકાતા લો કોલેજમાં થયેલી છેડતી હોય — અગાઉની સરકાર દ્વારા કોઈ યોગ્ય કે કડક પગલાં લેવામાં આવ્યા નહોતા.

“તારીખ પર તારીખ” સંસ્કૃતિનો અંત અને ઝડપી ન્યાય
હિંદી સિનેમાના પ્રખ્યાત સંવાદ “તારીખ પર તારીખ”નો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ દેશની જૂની ન્યાય પ્રણાલીની ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે અગાઉ ન્યાય મેળવવામાં એટલો વિલંબ થતો હતો કે કાં તો ફરિયાદ કરનાર ન્યાયની રાહ જોતા જોતા મૃત્યુ પામતો હતો, અથવા તો જેને સજા મળવી જોઈતી હતી તે ગુનેગાર ગુજરી જતો હતો.
નવા કાયદાઓથી આ પરિસ્થિતિ બદલાશે અને ચોક્કસ સમયમર્યાદામાં પીડિતોને ન્યાય મળશે. તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે માત્ર સરકાર જ નથી બદલાઈ, પરંતુ હવે કાયદા પણ બદલાઈ રહ્યા છે, જેનાથી આશરે ૧૫ વર્ષના લાંબા સમયગાળા બાદ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર કાયદાનું શાસન મજબૂતીથી સ્થપાશે.
