RBI: RBI એન્યુઅલ રિપોર્ટ: બજારમાં ₹૫૦૦ ની નોટોનો ૮૬% કબજો, પરંતુ નકલી નોટોના પ્રમાણમાં ૨૦% નો મોટો વધારો
આજના આધુનિક ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈ (UPI) ના સુવર્ણ યુગમાં પણ ભારતીય બજારોમાં રોકડ એટલે કે કેશ (Cash) નો ક્રેઝ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય રિઝર્વ બેંકે (RBI) પોતાના તાજેતરના વાર્ષિક અહેવાલમાં દેશની કરન્સી સિસ્ટમને લઈને કેટલાક અત્યંત મહત્વના અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સત્તાવાર રિપોર્ટ અનુસાર, ભારતીય બજારમાં ₹૫૦૦ ની ચલણી નોટોનું વર્ચસ્વ પહેલા કરતાં ઘણું વધી ગયું છે. પરંતુ, આ નકડીના મોહ વચ્ચે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. બેંકિંગ સિસ્ટમમાં પકડાયેલી ₹૫૦૦ ની નકલી નોટોની (Counterfeit Notes) સંખ્યામાં ચાલુ વર્ષે ૨૦ ટકાથી વધુનો ભયજનક ઉછાળો નોંધાયો છે.

માર્કેટમાં ₹૫૦૦ ની નોટોનો દબદબો: જુઓ વિગતવાર આંકડા
રિઝર્વ બેંકના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બજારમાં ₹૫૦૦ ની નોટોની સંખ્યામાં ૧૧.૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં બજારમાં ફરતી ₹૫૦૦ ની નોટોની સંખ્યા વધીને ૭,૦૫,૪૮૨ લાખ પીસ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષે ૬,૩૪, \૪૫૮ લાખ પીસ હતી.
જો આપણે આ નાણાંને કુલ મૂલ્ય (Value) ના દ્રષ્ટિકોણથી જોઈએ, તો ભારતીય બજારમાં ઉપલબ્ધ કુલ ચલણમાં એકલી ₹૫૦૦ ની નોટોનો હિસ્સો ૮૬ ટકાથી પણ વધુ છે. આ દર્શાવે છે કે નાની-મોટી તમામ ખરીદીમાં હવે આ જ નોટ મુખ્ય આધાર બની ગઈ છે. બીજી તરફ, નોટોની કુલ સંખ્યાના (Volume) મામલામાં પણ ₹500 ની નોટ ૪૧.૨% ના હિસ્સા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ₹૧૦ ની નોટ ૧૬.૧% ના હિસ્સા સાથે બીજા સ્થાને છે.
નકલી નોટોની આફત અને ₹૨,૦૦૦ ની નોટનું છેલ્લું અપડેટ
આટલા મોટા પાયે થઈ રહેલા સર્ક્યુલેશન વચ્ચે સૌથી મોટો ખતરો અને ચિંતાનો વિષય ₹૫૦૦ ની નકલી નોટોનું બજારમાં ઘૂસી આવવું છે. કેન્દ્રીય બેંકે સામાન્ય જનતાને આગાહ કરતાં જણાવ્યું છે કે, આ નાણાકીય વર્ષમાં પકડાયેલી જાળી નોટોમાં ૨૦% થી વધુનો વધારો થયો છે, તેથી સામાન્ય નાગરિકો અને વેપારીઓએ કોઈપણ રોકડ વ્યવહાર કરતી વખતે અત્યંત સાવધ રહેવું પડશે.

અસલી અને નકલી ₹૫૦૦ ની નોટ કેવી રીતે ઓળખવી?
આરબીઆઈ (RBI) ના ગાઈડલાઈન્સ અનુસાર, અસલી ₹૫૦૦ ની નોટમાં સુરક્ષાના અદ્યતન ફિચર્સ હોય છે જેને જોઈને છેતરપિંડીથી બચી શકાય છે:
૧. મહાત્મા ગાંધીની છબી: નોટની મધ્યમાં મહાત્મા ગાંધીનો વોટરમાર્ક અને ફોટો સ્પષ્ટ દેખાય છે.
૨. સિક્યોરિટી થ્રેડ: નોટની વચ્ચે આવેલી લીલી પટ્ટીને જ્યારે તમે સહેજ ક્રોસ કરશો, ત્યારે તેનો રંગ લીલામાંથી બદલાઈને બ્લુ (વાદળી) થઈ જાય છે.
૩. કલર ચેન્જિંગ ઈંક: નોટ પર લખેલું ‘₹500’ પણ એન્ગલ બદલતા પોતાનો રંગ બદલે છે.
૪. ઉભરેલું પ્રિન્ટિંગ (Intaglio): દૃષ્ટિહીન લોકો માટે નોટ પર મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ થોડા ઉપસેલા રાખવામાં આવ્યા છે, જેને સ્પર્શ કરીને ઓળખી શકાય છે. જો નોટનું કાગળ સામાન્ય કરતાં પાતળું કે પ્રિન્ટિંગ ઝાંખું લાગે તો તે નકલી હોઈ શકે છે.
