UPI: શું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પાછી આવશે ફી? જાણો નવા નિયમો અને ગ્રાહકો પર તેની અસર
ભારતમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ લાવનાર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ના નિયમોમાં કેન્દ્ર સરકાર એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જો સરકાર ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’ માં પ્રસ્તાવિત સુધારાને મંજૂરી આપશે, તો UPI ટ્રાન્ઝેક્શન પર ફરી એકવાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થઈ શકે છે.

આ સુધારા અંતર્ગત સરકાર એક્ટની ‘કલમ 10A’ હેઠળ આપેલા ઝીરો-MDR ની જોગવાઈને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં આ જોગવાઈ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) ને ડિજિટલ પેમેન્ટ પર કોઈ પણ પ્રકારની ફી વસૂલતા રોકે છે.
1. ગ્રાહકો પર નહીં, વેપારીઓ પર પડશે આડકતરી અસર
પ્રસ્તાવિત બિલની સૌથી મહત્વની બાબત એ છે કે UPI નો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકો (Consumers) માટે કોઈ સીધી ફી રાખવામાં આવી નથી. આ MDR ફી નો બોજ વેપારીઓ (Merchants) પર પડશે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જો વેપારીઓ આ ચાર્જ પોતે ભોગવવાને બદલે ગ્રાહકો પર ટ્રાન્સફર કરશે અથવા વધારાનો ચાર્જ માગશે, તો ગ્રાહકોના પેમેન્ટ કરવાના વલણમાં મોટો બદલાવ આવી શકે છે.
2. ‘લોકલસર્કિલ્સ’ના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા
તાજેતરમાં જાહેર કરાયેલા ‘LocalCircles’ ના સર્વેમાં દેશના 322 જિલ્લાઓમાંથી 45,000 થી વધુ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જો મોટા વેપારીઓ પર MDR ફી લાદવામાં આવે, તો લોકોનું વલણ કેવું રહેશે તે અંગે સર્વેમાં નીચે મુજબના આંકડા સામે આવ્યા છે:
53% યુઝર્સ UPI છોડશે: અડધાથી વધુ લોકોએ સ્પષ્ટ કર્યું કે જો MDR ના કારણે ટ્રાન્ઝેક્શન પર અસર પડશે, તો તેઓ ₹3,000 થી વધુના પેમેન્ટ માટે UPI નો ઉપયોગ બંધ કરી દેશે.
27% લોકો ક્રેડિટ કાર્ડ પર શિફ્ટ થશે.
14% લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશે.
12% લોકો બેંક ટ્રાન્સફર અથવા રોકડ (Cash) નો ઉપયોગ કરશે.
18% યુઝર્સ શરતી ઉપયોગ કરશે: આ લોકો તો જ UPI વાપરશે જો વેપારીઓ ફીનો બોજ પોતે ઉપાડશે.
12% યુઝર્સ ચાર્જ આપીને પણ વાપરશે: આ યુઝર્સે કહ્યું કે ચાર્જ ચૂકવવો પડે તો પણ તેઓ UPI ચાલુ રાખશે.
14% યુઝર્સ અનિર્ણાયક: તેઓ ફીની રકમ કેટલી નક્કી થાય છે તેના આધારે નિર્ણય લેશે.

3. શું છે આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિયંત્રિત MDR એ એવી ફી છે જે વેપારીઓ અથવા બઝનેસ હોલ્ડર્સ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા બદલ બેંકો અને પેમેન્ટ પ્રોસેસર્સને ચૂકવે છે.
વર્ષ 2020 માં કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI અને RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર MDR શૂન્ય (0%) કરી દીધો હતો. પરંતુ નવા પ્રસ્તાવ મુજબ, કઈ પેમેન્ટ પદ્ધતિઓ પર ચાર્જ નહીં લાગે તે નક્કી કરવાનો અધિકાર હવે કેન્દ્ર સરકાર પાસે રહેશે.
4. કાર્ડ સિસ્ટમ અને UPI વચ્ચેનો તફાવત
કાર્ડ પેમેન્ટમાં: જ્યારે કોઈ ગ્રાહક ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ₹1,000 નું ચુકવણું કરે છે, ત્યારે તેમાંથી એક નિશ્ચિત ટકાવારી રકમ કાપીને બેંકો વચ્ચે વહેંચવામાં આવે છે, અને વેપારીને બાકીની રકમ (Net Amount) મળે છે.
હાલની UPI સિસ્ટમમાં: અત્યારે વેપારીને ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવેલી પૂરેપૂરી રકમ મળે છે, કારણ કે તેના પર કોઈ MDR કાપવામાં આવતો નથી.
