Social Media: ડિજીટલ બંધનમાંથી મુક્તિ: યુવાનોને ઘેરી ઊંઘ અને સારા સ્વાસ્થ્ય માટે લંડનમાં અનોખો કાયદો
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા યુવાનોના જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ તેની નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ કિંગડમ (UK) સરકાર એક ક્રાંતિકારી અને અનોખો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ નવા નિયમ અંતર્ગત ૧૬ અને ૧૭ વર્ષના કિશોરો માટે રાત્રે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ એટલે કે ‘સોશિયલ મીડિયા કર્ફ્યુ’ લગાવવામાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ડિજિટલ બંધનમાંથી મુક્ત કરાવી તેમની શારીરિક અને માનસિક સુખાકારીમાં સુધારો કરવાનો છે.

શું છે આ નવો નિયમ અને કેવી રીતે કામ કરશે?
બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજના મુજબ, ૧૬ અને 1૭ વર્ષના વપરાશકર્તાઓ માટે રાત્રે સોશિયલ મીડિયા એપ્સ આપમેળે બંધ થઈ જશે. રાત્રિના બરાબર ૧૨ વાગ્યાથી આ કર્ફ્યુ લાગુ થશે અને સવારે ૬ વાગ્યા સુધી ચાલશે. આ ૬ કલાક દરમિયાન કિશોરો પોતાના એકાઉન્ટ લોગ-ઇન કરી શકશે નહીં. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન ઓટો-પ્લે વીડિયો અને નોટિફિકેશન જેવા આકર્ષક ફીચર્સ પણ સંપૂર્ણપણે બ્લોક રહેશે, જેથી બાળકોનું ધ્યાન ભટકે નહીં.
કાયદો લાવવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય
ટેકનોલોજી મંત્રી લિઝ કેન્ડલ (Liz Kendall) ના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધો યુવાનોની દિનચર્યા સુધારવા માટે અત્યંત જરૂરી છે. સરકારનું માનવું છે કે અડધી રાત સુધી સ્ક્રીન સામે બેસી રહેવાને કારણે બાળકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. આ કાયદાની મદદથી તેઓ ૭ થી ૮ કલાકની શાંત ઊંઘ મેળવી શકશે, જેનાથી સવારે શાળા કે કોલેજમાં તેમનું ધ્યાન વધુ કેન્દ્રિત થશે. આ ઉપરાંત, વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર આવીને તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે વાસ્તવિક સમય વિતાવી શકશે.
નાના બાળકો માટે અગાઉથી જ છે કડક નિયમો
અત્રે ઉલ્લેખનીય છે કે યુકેમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર અગાઉથી જ આંશિક પ્રતિબંધો મુકાયેલા છે. નવી નીતિ અનુસાર, ૧૬ વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ બાળકોને સોશિયલ મીડિયા એક્સેસ કરવાની મંજૂરી મળે છે. પરંતુ હવે ૧૬ અને ૧૭ વર્ષના કિશોરો રાત્રભર ‘ડૂમસ્ક્રોલિંગ’ (લાંબા સમય સુધી નકારાત્મક કે બિનજરૂરી કન્ટેન્ટ જોવું) ન કરે તે માટે આ મિડનાઇટ કર્ફ્યુ લાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયાની સ્વાસ્થ્ય પર અસરો
નિષ્ણાતો અને આ કાયદાના સમર્થકોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ક્યારેય બાળકોની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા નહોતા. મોડી રાત સુધી તેનો ઉપયોગ કરવાથી યુવાનોમાં ડિપ્રેશન (હતાશા), એન્ઝાયટી (ચિંતા), એકલતા અને મોડા સૂવાને કારણે સ્થૂળતા (જાડાપણું) જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આ કાયદો બાળકોને આવી શારીરિક અને માનસિક બીમારીઓથી બચાવવામાં વરદાન સાબિત થઈ શકે છે.

ક્યારથી લાગુ થઈ શકે છે આ કાયદો?
મળતી માહિતી મુજબ, બ્રિટિશ સરકાર આ કાયદાના મુસદ્દાને ચાલુ વર્ષના અંત સુધીમાં સંસદમાં રજૂ કરશે. સંસદમાંથી લીલી ઝંડી મળ્યા બાદ, આગામી વર્ષની શરૂઆતમાં આ નિયમ સત્તાવાર રીતે સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે. સત્તાવાળાઓનું કહેવું છે કે કાયદો બન્યા પછી તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે, અન્યથા તેમના પર ભારે દંડ થઈ શકે છે.
કાયદા સામે ઉઠતા સવાલો અને પડકારો
જો કે, આ કાયદાને લઈને સમાજમાં બે પક્ષો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે માત્ર પ્રતિબંધ મૂકવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે ટેકનોલોજીના આ યુગમાં બાળકો સોશિયલ મીડિયા એક્સેસ કરવા માટે VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) અથવા ફેક પ્રોફાઇલ જેવા અન્ય રસ્તાઓ શોધવા લાગશે. તેથી કાયદાની સાથે સાથે બાળકોમાં ડિજિટલ જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે.
