એન્ડ્રોઈડ કરતા iPhone યુઝર્સ વધુ નિશાના પર, જાણો કઈ રીતે સેકન્ડોમાં ખાલી થાય છે બેંક એકાઉન્ટ
ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાની સાથે જ સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. તાજેતરમાં જાહેર થયેલા ‘BioCatch’ ના રિપોર્ટ અનુસાર, ભારતમાં એસએમએસ (SMS) દ્વારા થતા સાયબર ફ્રોડના કેસોમાં છેલ્લા એક વર્ષમાં ૧૪૬ ટકાનો જંગી વધારો થયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધી વધુ સુરક્ષિત માનવામાં આવતા Apple ના iOS પ્લેટફોર્મ પર ફ્રોડના કેસ ૮૬ ટકા વધ્યા છે, જ્યારે એન્ડ્રોઈડ (Android) યુઝર્સ પર આ વધારો ૩૫ ટકા રહ્યો છે.
સાયબર ફ્રોડથી થતા આર્થિક નુકસાનના આંકડા પણ અત્યંત ડરામણા છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતમાં સાયબર વિરોધી હેલ્પલાઈન પર કુલ ₹૨૨,૪૯૬ કરોડથી વધુ રકમની ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે, જે દર્શાવે છે કે સામાન્ય નાગરિકો પોતાની મહેનતની કમાણી ક્ષણવારમાં ગુમાવી રહ્યા છે.

શા માટે આટલો સફળ થઈ રહ્યો છે SMS ફ્રોડ?
બાયોકેચ (BioCatch) ના ડાયરેક્ટર ઓફ ગ્લોબલ ફ્રોડ ઈન્ટેલિજન્સ ટૌમ પીકોકના જણાવ્યા અનુસાર, સ્કેમર્સ લોકોના ભરોસાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. એસએમએસ એ એક એવું માધ્યમ છે જેને લોકો આજે પણ ઈમેલ કે અન્ય એપ્સ કરતા વધુ અધિકૃત અને વિશ્વસનીય માને છે.
જ્યારે કોઈ યુઝરના ફોન પર બેંક, વીજળી બિલ, કે લોન સંબંધી એસએમએસ આવે છે, ત્યારે તે બોગસ લિંક કે મેસેજને સાચો માનીને વિચાર્યા વગર ક્લિક કરી દે છે. આ સિવાય ભારતમાં સૌથી વધુ વપરાતા UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ઈકોસિસ્ટમ પર પણ સાયબર ગુનેગારોની ખાસ નજર છે અને તેઓ યુપીઆઈ પિન મેળવીને કૌભાંડ આચરી રહ્યા છે.
ઓછા સમયમાં મોટું નુકસાન: સ્કેમર્સ વધુ ચાલાક બન્યા
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાયબર ક્રિમીનલ્સ હવે ખૂબ જ ટૂંકા સમયમાં મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. મોબાઈલ ફ્રોડ સેશનનો સરેરાશ સમય પહેલા કરતા ૩૨ ટકા ઘટી ગયો છે, પરંતુ આ જ ટૂંકા સમયગાળામાં ટ્રાન્સફર થતી રકમમાં ૧.૭ ગણો ઉછાળો આવ્યો છે.
પીકોકે સ્પષ્ટ કર્યું કે, એક નાના ફોન કોલ કે લિંક પર ક્લિક કરાવ્યાની ગણતરીની મિનિટોમાં ખાતું ખાલી કરી દેવું એ દર્શાવે છે કે ગુનેગારો હવે અત્યાધુનિક સોશિયલ એન્જિનિયરિંગ અને ઓટોમેટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. બેંક કે સુરક્ષા સિસ્ટમ કોઈ ચેતવણી (Warning) આપે તે પહેલાં જ પૈસા એક ખાતામાંથી બીજા અનેક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

મની મ્યુલ એકાઉન્ટ્સનો પર્દાફાશ: તપાસમાં મોટા ખુલાસા
વર્ષ ૨૦૨૫ માં કુલ ₹૨૨,૪૯૬ કરોડના ફ્રોડની ફરિયાદો વચ્ચે સાયબર સુરક્ષા એજન્સીઓની સમયસૂચકતાને કારણે ₹૯,૦૦૦ કરોડથી વધુનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થતાં પહેલાં જ અટકાવી (Decline) દેવામાં આવ્યું હતું.
તપાસ એજન્સીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન દેશની ૭૦૦ થી વધુ બેંકોની શાખાઓમાંથી આશરે ૮.૫ લાખથી વધુ એવા શંકાસ્પદ ખાતાઓ (Mule Accounts) શોધી કાઢ્યા છે, જેનો ઉપયોગ ફ્રોડ કરેલા પૈસા છુપાવવા કે ઉપાડવા માટે કરવામાં આવતો હતો.
બચાવ માટે સાવચેતી જરૂરી
નિષ્ણાતોના મતે કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલા SMS માં આપેલી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ. સાથે જ, કોઈપણ વ્યક્તિ કે બેંક અધિકારી સાથે ફોન પર OTP, UPI Pin કે બેંકિંગ પાસવર્ડ શેર ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે.
