EMI બાકી રહેશે તો પણ નહીં થાય માનસિક ત્રાસ: લોન વસૂલાત માટે RBI એ બનાવ્યા આ નવા ગ્રાહક હિતકારી નિયમો
જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક ઘર બનાવવા, વાહન ખરીદવા કે મેડિકલ ઈમરજન્સી માટે ધિરાણ (લોન) લેવાની જરૂર પડે જ છે. પરંતુ અચાનક નોકરી જતી રહેવી કે ગંભીર બીમારી જેવા અનિવાર્ય સંજોગોને કારણે જ્યારે ઈએમઆઈ (EMI) ચૂકવવામાં વિલંબ થાય છે, ત્યારે ખરી મુશ્કેલી શરૂ થાય છે. એક તરફ નાણાકીય અને માનસિક તણાવ હોય છે, તો બીજી તરફ રિકવરી એજન્ટોનો ભયાનક અને અસભ્ય વ્યવહાર પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી દે છે.
પરંતુ હવે આ માનસિક ત્રાસમાંથી ગ્રાહકોને મુક્તિ મળવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન વસૂલાતની પ્રક્રિયાને પારદર્શક અને માનવીય બનાવવા માટે નવા માર્ગદર્શિકા રજૂ કર્યા છે. 1 જાન્યુઆરી 2027 થી અમલમાં આવનારા આ નિયમો બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે કડક આચારસંહિતા સ્થાપિત કરશે.

એજન્ટની સંપૂર્ણ માહિતી ગ્રાહકને આપવી પડશે
નવા નિયમો મુજબ બેંકો પોતાની મરજી મુજબ કોઈપણ બહારની એજન્સીને ગ્રાહકો પાછળ દોડાવી શકશે નહીં:
ઓળખની સ્પષ્ટતા: જો બેંકે વસૂલાતનું કામ બહારની કોઈ એજન્સીને સોંપ્યું હશે, તો ગ્રાહકને અગાઉથી જાણ કરવી પડશે કે કયો એજન્ટ કે એજન્સી તેમનો સંપર્ક કરશે.
IIBF ટ્રેનિંગ ફરજિયાત: વસૂલાતનું કામ કરતા દરેક એજન્ટે ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ એન્ડ ફાઈનાન્સ’ (IIBF) માંથી ખાસ તાલીમ મેળવેલી હોવી જોઈએ.
ડેટાની સુરક્ષા: એજન્ટને માત્ર વસૂલાત પૂરતી જ જરૂરી માહિતી આપવામાં આવશે. ડેટાનો દુરુપયોગ થશે તો બેંક પર ભારે દંડ ફટકારાશે.
મનસ્વી કોલ પર રોક, દરેક વાતચીત થશે રેકોર્ડ
રિકવરી એજન્ટો દ્વારા ગમે તે સમયે કોલ કરીને અસભ્ય વર્તન કરવાની પ્રવૃત્તિ પર RBI એ પૂર્ણવિરામ મૂક્યું છે:
સમયમર્યાદા: એજન્ટો માત્ર સવારે 8:00 થી સાંજે 7:00 વાગ્યા વચ્ચે જ ગ્રાહકને ફોન કરી શકશે કે રૂબરૂ મળી શકશે.
કોલ રેકોર્ડિંગ: બેંકે એજન્ટ અને ગ્રાહક વચ્ચેની તમામ વાતચીત ફરજિયાત રેકોર્ડ કરવી પડશે અને તે રેકોર્ડિંગ 6 મહિના સુધી સુરક્ષિત રાખવું પડશે.
પરિવારજનોને પરેશાન કરવા પર પ્રતિબંધ: ગ્રાહકના સગા-સંબંધીઓ, મિત્રો કે ઓફિસના સહકર્મીઓને કોલ કરીને ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ડિફોલ્ટરની વિગતો જાહેર કરવા પર પણ સખત મનાઈ છે.

EMI બાકી રહેવા પર મોબાઈલ લોક કરવાના કડક નિયમો
હપ્તેથી સ્માર્ટફોન ખરીદ્યા પછી એકાદ હપ્તો ચૂકવો બાકી રહે તો ફાઈનાન્સ કંપનીઓ તરત જ ફોન બ્લોક કરી દેતી હતી. હવે આ મનમાની પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે:
ઈએમઆઈ બાકી રહ્યાના 30 દિવસ પછી જ ફોનમાં અમુક મર્યાદિત આંકડાકીય પાબંદીઓ લગાવી શકાશે.
સંપૂર્ણ ફોન બ્લોક કરવાનો અધિકાર 60 દિવસ પછી જ મળશે.
ફોન બ્લોક થયા પછી પણ ઈનકમિંગ કોલ, મેસેજ, ઈમરજન્સી કોલ (SOS) અને જરૂરી કામકાજના ફિચર્સ ચાલુ રાખવા પડશે.
જો ગ્રાહક બાકી રકમ ચૂકવી દે, તો કંપનીએ 1 કલાકની અંદર ફોન અનલોક કરવો પડશે. વિલંબ થાય તો કંપનીએ ગ્રાહકને રૂ. 250 પ્રતિ કલાક લેખે વળતર ચૂકવવું પડશે.
ઘર કે ઓફિસ આવવા પર આઈડી બતાવવું ફરજિયાત
જ્યારે પણ કોઈ એજન્ટ ગ્રાહકના ઘરે કે ઓફિસે જશે, ત્યારે તેણે આઈડી કાર્ડ અને બેંકનો ઓથોરાઈઝેશન લેટર સાથે રાખવો પડશે. ગ્રાહકો સાથે ગેરવર્તણૂક થાય તો તેઓ બેંકના ગ્રીવન્સ રેડ્રેસલ ઓફિસર (ફરિયાદ નિવારણ અધિકારી) નો સીધો સંપર્ક કરી શકશે.
