Big decision on repo rate: લોનધારકો માટે શું સંકેત આપશે RBI
ભારતના કરોડો લોનધારકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે આજનો દિવસ અત્યંત મહત્વનો બની રહ્યો છે. Reserve Bank of India (RBI) ના ગવર્નર Sanjay Malhotra આજે સવારે 10 વાગ્યે નવા નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ મોનીટરી પોલિસીના પરિણામોની જાહેરાત કરશે. 6 એપ્રિલથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકમાં વ્યાજદરો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે, જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે હોમ લોન અને કાર લોનની EMIમાં રાહત મળશે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને વ્યાજદરો સ્થિર રાખવામાં આવશે.
આ જાહેરાત સાથે ગવર્નર મલ્હોત્રા બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે, જેમાં દેશની આર્થિક સ્થિતિ અને આવનારા સમયમાં અપનાવવામાં આવનાર નીતિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. નવા નાણાકીય વર્ષની આ પ્રથમ બેઠક હોવાથી તેના નિર્ણયો આખા વર્ષ માટે આર્થિક દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને બેંકિંગ નિષ્ણાતો માને છે કે આ વખતે રેપો રેટમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે અને તે 5.25% પર યથાવત રાખવામાં આવી શકે છે. તેની પાછળ મુખ્ય કારણ રૂપિયાની કમજોરી છે, જે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ડોલર સામે નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કમજોર રૂપિયા આયાતને મોંઘી બનાવે છે, જેને નિયંત્રિત કરવા માટે RBI કડક વલણ અપનાવી શકે છે. સાથે સાથે, મોંઘવારીનો જોખમ હજી પણ યથાવત છે. જો કે રિટેલ ઇન્ફ્લેશન 4%ના લક્ષ્યની આસપાસ પહોંચી ગયું છે, પરંતુ ઇંધણ અને પરિવહન ખર્ચમાં વધારો ફરીથી મોંઘવારીને ઉપર ધકેલી શકે છે.
ઉલ્લેખનીય છે કે 2025માં RBIએ વ્યાજદરમાં કુલ 125 બેસિસ પોઇન્ટની કપાત કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી હતી. જોકે, વૈશ્વિક પરિસ્થિતિઓમાં આવેલા ફેરફારોને કારણે હવે કેન્દ્રિય બેંક વધુ સાવચેત અભિગમ અપનાવી રહી છે. ફેબ્રુઆરી 2026ની બેઠકમાં પણ વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા હતા અને આ વખતે પણ ‘વેઇટ એન્ડ વોચ’ની નીતિ ચાલુ રહેવાની શક્યતા છે.
બજારની નજર માત્ર વ્યાજદરો પર જ નહીં પરંતુ વિકાસદરના અંદાજ પર પણ રહેશે. કાચા તેલની કિંમતોમાં દરેક 10 ડોલરની વૃદ્ધિ ભારતની મોંઘવારીમાં અંદાજે 0.60%નો વધારો કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ગવર્નર મલ્હોત્રાનું નિવેદન આવનારા સમયમાં સામાન્ય માણસના ખર્ચ પર શું અસર પડશે તે સ્પષ્ટ કરશે.
