હવે પ્રીપેડ ઇલેક્ટ્રિક મીટર ટૂંક સમયમાં રાજ્યભરના ઘરોમાં વાસ્તવિકતા બની જશે અને આ સાથે જ ગુજરાત સ્માર્ટ મીટર ધરાવતું દેશનું છઠ્ઠું રાજ્ય બનશે. અહેવાલ અનુસાર રાજ્ય સરકારે ૬૦ લાખ સ્માર્ટ મીટરનો ઓર્ડર આપ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં આ મીટર ગાંધીનગરની સરકારી કચેરીઓ અને રાજ્યભરની અન્ય સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે. આનાથી મીટરની કાર્યક્ષમતા ચકાસવામાં મદદ મળશે જે પછી ખાનગી મિલકતોમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. એકવાર આ મીટરનું કામકાજ યોગ્ય જણાય તો તેને ઘરેલુ ગ્રાહકો માટે સ્થાપિત કરવામાં આવશે.
ઇન્સ્ટોલેશન તબક્કાવાર હાથ ધરવામાં આવશે. શરૂઆતમાં મોટા શહેરોમાં મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર વેબ-આધારિત મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જાેડાયેલા છે જે યુટિલિટીઝના કોમર્શિયલ નુકસાનને ઘટાડવામાં, આવક વધારવામાં અને પાવર સેક્ટરના સુધારામાં એક મહત્વપૂર્ણ સાધન તરીકે સેવા આપવા માટે મદદ કરશે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ઘટાડવામાં મદદ કરે છે. એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (ઈઈએસએલ), જે રાજ્ય સંચાલિત વીજ કંપનીઓનું જાેઈન્ટ વેન્ચર છે, હાલમાં વિતરણ કંપનીઓ (ડીઆઈએસસીઓએમએસ)ની બિલિંગ અને સંગ્રહ કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરવા સ્માર્ટ મીટરિંગ પ્રોગ્રામનો અમલ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્માર્ટ મીટરની ખાસ વાત એ છે કે તેને મોબાઈલ ટીવીની જેમ રિચાર્જ કરવું પડશે, જેટલું રિચાર્જ થશે તેટલી વધુ વીજળી મળશે.
સ્માર્ટ મીટર સિસ્ટમ દ્વારા સરકાર સ્માર્ટ ગ્રીડ પ્રોગ્રામ માટે પાયો તૈયાર કરવા માગે છે જે નવા વિકસતા ઊર્જા મિશ્રણના પડકારોને પહોંચી વળવા અને અવિરત ૨૪×૭ વીજ પુરવઠો પૂરો પાડવાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે નિર્ણાયક બનશે. કેન્દ્ર સરકારે તેની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજના (આરડીએસએસ) હેઠળ માર્ચ, ૨૦૨૫ સુધી તમામ સ્થાનિક ગ્રાહકો માટે ૨૫ કરોડથી વધુ સ્માર્ટ પ્રીપેડ મીટર સ્થાપિત કરવાની યોજના બનાવી છે.
સ્માર્ટ પ્રીપેડ મીટર ઇન્સ્ટોલ કરવાના આ ફાયદા હોઈ શકે
વીજ ચોરી પર અંકુશ આવશે.
મોબાઈલ પર વીજળી સંબંધિત એલર્ટ મળશે.
વીજ ઉપભોક્તાનું નિયંત્રણ રહેશે.
રિચાર્જ પ્રીપેડ સુવિધા દ્વારા કરવામાં આવશે.
બિલ ભરવાની પરેશાનીમાંથી મુક્તિ મળશે.
મીટર રીડિંગને લઈને ચાલી રહેલી ગડબડનો સંપૂર્ણ અંત આવશે.