CEO Pay: પગાર વગરના 108 દિવસ! જાણો કેમ વિશ્વભરના કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે
વિશ્વભરમાં આર્થિક અસમાનતા કેટલી ઝડપથી વધી રહી છે તેનો પુરાવો તાજેતરમાં ‘ઓક્સફૈમ ઇન્ટરનેશનલ’ અને ‘ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન’ (ITUC) દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત રિપોર્ટમાં મળ્યો છે. વર્ષ 2025ના આંકડાઓ દર્શાવે છે કે જ્યારે સામાન્ય કર્મચારીઓ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ટોચની કંપનીઓના CEO (મુખ્ય કાર્યકારી અધિકારીઓ) ની સંપત્તિમાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે.

પગારમાં મોટો તફાવત: CEOs વિરુદ્ધ કર્મચારીઓ
રિપોર્ટના વિશ્લેષણ મુજબ, વર્ષ 2025માં વૈશ્વિક સ્તરે CEOs ના પગારમાં ફુગાવાને એડજસ્ટ કર્યા પછી પણ 11 ટકાનો વધારો થયો છે. તેની સરખામણીમાં, સામાન્ય કામદારોના વાસ્તવિક વેતનમાં માત્ર 0.5 ટકાનો મામૂલી વધારો નોંધાયો છે. આનો અર્થ એ થયો કે કંપનીઓના વડાઓનો પગાર કર્મચારીઓની સરખામણીએ 20 ગણી ઝડપે વધ્યો છે.
દુનિયાના 33 દેશોની 1500 મોટી કંપનીઓના ડેટા મુજબ, એક CEOનો સરેરાશ વાર્ષિક પગાર 2024માં 7.6 મિલિયન ડોલર હતો, જે 2025માં વધીને 8.4 મિલિયન ડોલર (આશરે ₹70 કરોડ) થઈ ગયો છે.
કર્મચારીઓનું 108 દિવસનું વેતન ધોવાયું
રિપોર્ટમાં એક અત્યંત ચિંતાજનક પાસું સામે આવ્યું છે. વર્ષ 2019 થી 2025 દરમિયાન વધતી મોંઘવારીને કારણે વૈશ્વિક સ્તરે કર્મચારીઓના વાસ્તવિક વેતનમાં 12 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડો એટલો મોટો છે કે જાણે કર્મચારીઓએ આખા વર્ષમાં 108 દિવસ સુધી પગાર વગર કામ કર્યું હોય. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન CEOs ના કુલ વળતરમાં 54 ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે.
અમેરિકામાં સૌથી વરવી સ્થિતિ
આર્થિક અસમાનતાનો સૌથી મોટો નમૂનો અમેરિકામાં જોવા મળ્યો છે. ત્યાં S&P 500 ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓના CEOs ના વેતનમાં એક વર્ષમાં 25.6 ટકાનો વધારો થયો છે. તેની સામે ખાનગી ક્ષેત્રના કામદારોના પ્રતિ કલાકના વેતનમાં માત્ર 1.3 ટકાનો વધારો થયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે કોર્પોરેટ જગતનો નફો માત્ર ટોચના સ્તરે જ સીમિત રહી રહ્યો છે.
અબજોપતિઓની ‘સેકન્ડ’ની કમાણી
અભ્યાસમાં જણાવાયું છે કે 2025માં અબજોપતિઓએ તેમના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો અને ડિવિડન્ડ દ્વારા દર સેકન્ડે અંદાજે 2,500 ડોલર (આશરે ₹2.10 લાખ) કમાણી કરી છે. જ્યારે સામાન્ય મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગ મોંઘવારીને કારણે પોતાની મૂળભૂત જરૂરિયાતો કાપવા મજબૂર બન્યા છે.
નિષ્ણાતોની ચેતવણી અને સૂચનો
ઓક્સફૈમ અને ITUC એ વિશ્વભરની સરકારોને અપીલ કરી છે કે આ આર્થિક અસમાનતાને ડામવા માટે કડક પગલાં લેવામાં આવે. રિપોર્ટમાં માંગ કરવામાં આવી છે કે:
CEOs ના વેતન પર એક મર્યાદા (Limit) નક્કી કરવામાં આવે.
અતિ શ્રીમંત લોકો પર ‘ફેર ટેક્સ’ (નિષ્પક્ષ કર) લાગુ કરવામાં આવે.
લઘુત્તમ વેતનમાં મોંઘવારી દર મુજબ વધારો કરવામાં આવે.
આ અહેવાલ સાબિત કરે છે કે જો નીતિઓમાં ફેરફાર કરવામાં નહીં આવે, તો ગરીબ અને અમીર વચ્ચેની આ ખાઈ આવનારા સમયમાં સામાજિક અસ્થિરતાનું કારણ બની શકે છે.
