ChatGPT: AI બન્યું નવું ડાયેટિશિયન: ચેટજીપીટી પાસેથી મીલ પ્લાન બનાવવો પડી શકે છે ભારે, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનો દાવો
આજના આધુનિક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ માત્ર ઓફિસ કે આઇટી સેક્ટર પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તે લોકોના રસોડા અને ડાયેટ પ્લાન સુધી પહોંચી ગયા છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો વજન ઘટાડવા અથવા મસલ્સ વધારવા માટે ચેટજીપીટી (ChatGPT) જેવા એઆઈ ચેટબોટ્સને પોતાના પર્સનલ ડાયેટિશિયન કે ફિટનેસ કોચ માની રહ્યા છે. જોકે, તબીબી નિષ્ણાતો અને થેરાપિસ્ટ્સ આ ટ્રેન્ડને અત્યંત જોખમી ગણાવી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે લાખો યુઝર્સ પોતાના ફોટા અથવા રોજિંદા ભોજનની તસવીરો એઆઈ પ્લેટફોર્મ પર શેર કરીને કેલરી કાઉન્ટ અને હેલ્ધી ઓપ્શન્સ પૂછી રહ્યા છે. આના જવાબમાં ચેટબોટ્સ યુઝર્સને ભારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ ઘટાડવાની, લાંબા સમય સુધી ઉપવાસ (Fasting) કરવાની અથવા શરીર માટે જરૂરી ન હોય તેવી ઓછી કેલરીવાળો કડક આહાર લેવાની સામાન્ય સલાહ આપે છે. નિષ્ણાતોના મતે, આવી સાર્વત્રિક અને સામાન્ય સલાહ કોઈ પણ વ્યક્તિની શારીરિક જરૂરિયાતોને સમજ્યા વિના આપવામા આવે છે, જે લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે.

મેડિકલ હિસ્ટ્રી અને માનસિક સ્થિતિથી અજાણ છે AI
કોઈપણ માનવ ડાયેટિશિયન જ્યારે કોઈ વ્યક્તિ માટે મીલ પ્લાન (Meal Plan) તૈયાર કરે છે, ત્યારે તે તેની મેડિકલ હિસ્ટ્રી, એલર્જી, હોર્મોનલ સંતુલન અને માનસિક સ્થિતિનો ઊંડો અભ્યાસ કરે છે. એઆઈ ટૂલ્સ પાસે આ પ્રકારની કોઈ વ્યક્તિગત કે સંવેદનશીલ માહિતી હોતી નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ઈટિંગ ડિસઓર્ડર (ખાવા સંબંધિત માનસિક બીમારી જેમ કે એનોરેક્સિયા કે બુલિમિયા) થી પીડાતી હોય, તો એઆઈ તેને ઓળખી શકતું નથી. પરિણામે, તે આવી વ્યક્તિને પણ વધુ વજન ઘટાડવાની કડક સલાહ આપી બેસે છે, જે દર્દીની મુશ્કેલીઓ અનેકગણી વધારી દે છે.
ફિટનેસ અને ઈટિંગ ડિસઓર્ડર વચ્ચેનો તફાવત સમજવામાં એઆઈ નિષ્ફળ
તકનીકી રીતે અદ્યતન હોવા છતાં, એઆઈ ચેટબોટ્સ માનવીય વર્તણૂકની જટિલતાઓને સમજી શકતા નથી. જે વ્યક્તિ માત્ર ફિટ રહેવા માટે ડાયેટ ફોલો કરી રહી છે અને જે વ્યક્તિ કોઈ માનસિક તણાવ કે ડિસઓર્ડરના કારણે ખાવા-પીવાથી દૂર ભાગી રહી છે – આ બંને વચ્ચેનો સૂક્ષ્મ તફાવત પારખવાની ક્ષમતા એઆઈમાં નથી. એઆઈ માત્ર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટાના આધારે ગણતરી કરીને જવાબો આપે છે, જેમાં સંવેદનશીલતા કે માનવીય દ્રષ્ટિકોણનો સંપૂર્ણ અભાવ હોય છે.

એક્સપર્ટ્સની ચેતવણી: રિકવરી માટે એઆઈ પર નિર્ભર ન રહો
હેલ્થ એક્સપર્ટ્સ અને થેરાપિસ્ટ્સ લોકોને ખાસ અપીલ કરી રહ્યા છે કે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં એઆઈ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. ચેટબોટ્સ તમારા પ્રશ્નોના વ્યાકરણની દ્રષ્ટિએ સાચા જવાબો ચોક્કસ આપી શકે છે, પરંતુ તે માનવ શરીરની જટિલ લાગણીઓ, મેડિકલ જરૂરિયાતો અને સ્વાસ્થ્યના સંઘર્ષને સમજી શકતા નથી. ખાસ કરીને જે લોકો કોઈ બીમારીમાંથી રિકવર થઈ રહ્યા છે, તેમના માટે ક્વોલિફાઈડ ડોક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટનું પ્રત્યક્ષ માર્ગદર્શન અને હ્યુમન કેર (માનવીય સંભાળ) અનિવાર્ય છે. શોર્ટકટ અપનાવીને એઆઈ ટૂલ્સના સહારે રહેવું એ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
