અમદાવાદ બીઆરટીએસએ મુસાફરો માટે વરદાનરૂપ છે પરંતુ હાલની સ્થિતિએ તે મુશ્કેલીનો પર્યાય પણ બની હોવાની હકીકત સ્વીકારવી જ રહી! કારણ કે અમદાવાદમાં કામ ચાલતું હોવાથી ૧૫ બસ સ્ટોપને અસર થવા પામી છે. જેને લઈને BRTS બસ જનમાર્ગ ટ્રેક બહાર દોડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બીજી બાજુ ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર BRTSમાં મુસાફરો ચડઉતર કરતા હોવાથી અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે. રસ્તા પર મુસાફરોને ઉતારવામાં આવી રહ્યા હોવાથી હાલ મુસાફરો દાણીલીમડા, મણિનગર, વિરાટનગર ચંદ્ર નગર સહિતના બસ સ્ટોપ પર હાલાકી ભોગવી રહ્યા છે. ‘જાે આ રીતે જ ચલાવવી હોય તો BRTSનો ફાયદો શું?’ તેવો લોકોમાં અણીયારો સવાલ પણ ઉભો થયો છે.
કામગીરીને લઈને BRTS હાલ ટ્રેક બહાર દોડી રહી છે. જેને લઈને આ અંગે વાહનચાલકોએ કહ્યું કે બસ બહાર દોડતી હોવાથી ભયંકર ટ્રાફિક થાય છે. વાહનચલાકોએ તો એવા પણ આક્ષેપો કર્યા હતા. કે દાણીલીમડાથી મણિનગરના રૂટ બન્યો ત્યારથી અત્યાર સુધી મોટા ભાગે ટ્રેક બંધ જ હોય છે. બીજી બાજુ આ કામને લઈને મુસાફરો પણ સમસ્યા ભોગવી રહ્યા છે. મુસાફરોના જણાવ્યા અનુસાર પેહલા ટિકિટ લેવા BRTS અંદર જવું પડે છે. પછી બસ માટે બહાર આવવું પડે છે. જેને લઈને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.
દાણીલીમડા, મણિનગર, વિરાટનગર બસ સ્ટોપ પર હાલાકી
અમદાવાદ BRTS વર્કશોપ અને બસ સ્ટોપ પર ચાલી રહેલી કામગીરીને પગલે લોકોને આ સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ વાત એ છે કે સ્વામિનારાયણ કોલેજ પાસે આવેલ દાણીલીમડા બસ સ્ટોપ નજીકનો ટ્રેક પહેલા પણ બંધ હતો. પરિણામે બસ મિક્સ ટ્રાફિકમાં દોડતી હતી. જેને લઈને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. લગભગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ પ્રકારની હાલાકી છે. જેનો હજુ અંત આવ્યો નથી.