8th Pay Commission
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેના કારણે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આ પંચની રચના ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આઠમા પગાર પંચની રચના આ વર્ષે એપ્રિલમાં થઈ શકે છે. નાણા મંત્રાલયના ખર્ચ સચિવ મનોજ ગોયલે TOI ને આપેલા ઇન્ટરવ્યુમાં આ માહિતી આપી હતી.
મનોજ ગોયલે કહ્યું કે 8મું પગારપંચ બે મહિનામાં, કદાચ એપ્રિલ સુધીમાં રચાઈ શકે છે. કમિશનનો ડ્રાફ્ટ તૈયાર કરીને સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગને તેમના અભિપ્રાય માટે મોકલવામાં આવ્યો છે. તેમના સૂચનો મળ્યા પછી, TOR તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ કેબિનેટની મંજૂરી લેવામાં આવશે.
આઠમા પગારપંચના નાણાકીય પ્રભાવ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે આગામી નાણાકીય વર્ષ (એપ્રિલ 2025 થી માર્ચ 2026) માં પગારપંચની કોઈ નાણાકીય અસર થશે નહીં. રિપોર્ટ તૈયાર કરવામાં થોડો સમય લાગશે, અને તે પછી સરકાર પોતાનો નિર્ણય લેશે. તેથી, આગામી નાણાકીય વર્ષમાં કોઈ ખર્ચની અપેક્ષા નથી, પરંતુ નાણાકીય અસર એપ્રિલ 2026 થી શરૂ થતા નાણાકીય વર્ષમાં દેખાશે.