મોંઘી રસોઈ અને મોંઘી સફર: E20 નીતિ સામે કોંગ્રેસના આકરા પ્રહારો, તાત્કાલિક સમીક્ષાની માગ
કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારની E20 નીતિ (પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ) સામે આકરા પ્રહારો કરતા તેને જનવિરોધી ગણાવી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવા માટે શેરડી અને અનાજનો મોટો જથ્થો વાપરવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશમાં ખાંડ સહિતની જીવનજરૂરી ખાદ્યચીજો મોંઘી થઈ રહી છે. આ ઉપરાંત, આ ઇંધણને કારણે વાહનચાલકોને ઓછી માઇલેજ અને એન્જિન સંબંધિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇથેનોલમાં શેરડીનો વપરાશ અને મોંઘી થતી ખાંડ
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે મોદી સરકારની E20 નીતિના કારણે સામાન્ય જનતાને રસ્તાથી લઈને રસોડા સુધી ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેમણે જણાવ્યુ કે, ગન્ના (શેરડી) અને અનાજનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થઈ રહ્યો હોવાથી દેશમાં ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા પર સીધી અસર પડી રહી છે. જ્યારે અનાજ અને શેરડીનો 20 ટકા હિસ્સો પેટ્રોલમાં ભેળવવામાં આવશે, ત્યારે તેનાથી બનતી ચીજવસ્તુઓની અછત સર્જાવવી સ્વાભાવિક છે.
તેમણે ઉમેર્યું કે લગભગ 25 લાખ ટન ખાંડ બની શકે તેટલો શેરડીનો જથ્થો ઇથેનોલ ઉત્પાદનમાં ડાયવર્ટ કરી દેવાયો છે. પરિણામે, છેલ્લા ત્રણ મહિનામાં જ ખાંડનો ભાવ રૂ. 48 થી વધીને રૂ. 67 પ્રતિ કિલો અને ગોળનો ભાવ રૂ. 50 થી વધીને રૂ. 65 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ સાથે ચોખાના ભાવમાં 16 ટકા, મકાઈના લોટમાં 11 ટકા અને પશુ આહારના ભાવમાં 10.34 ટકાનો વધારો નોંધાયો છે.
વાહનોની માઇલેજ અને એન્જિન કમ્પેટેબિલિટી પર સવાલો
બીજી તરફ, દેશના વાહન માલિકો માટે પેટ્રોલના અન્ય વિકલ્પો મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. E20 ઇંધણના ઉપયોગથી વાહનોની માઇલેજ ઘટી રહી છે અને વાહનોની કમ્પેટેબિલિટી (અનુકૂળતા) ને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને જૂના વાહનોના એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમ પર E20 વિપરીત અસર કરી રહ્યું છે, જેનાથી ગ્રાહકો પર સમારકામનો આર્થિક બોજ વધી રહ્યો છે.

પેટ્રોલના ભાવ ન ઘટવા પર સરકાર સામે આક્ષેપ
ઇથેનોલ મિશ્રણ છતાં પેટ્રોલ સસ્તું ન થવા બદલ પણ કોંગ્રેસે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. જયરામ રમેશે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે અને 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાથી ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થયો છે, છતાં પેટ્રોલના ભાવમાં સામાન્ય જનતાને કોઈ રાહત આપવામાં આવી નથી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ E20 ના નામે થતા આર્થિક નુકસાન અને ભ્રષ્ટાચારના મુદ્દાને સતત ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ પણ E20 ના કારણે ઓછી માઇલેજ, પર્યાવરણીય નુકસાન અને ઉપભોક્તાઓ પાસે વિકલ્પોના અભાવ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસની માગણી છે કે E20 નીતિની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે અને વાહનચાલકોને ઇથેનોલ મુક્ત (100% શુદ્ધ) પેટ્રોલનો વિકલ્પ પૂરો પાડવામાં આવે. વાહન ચલાવવું પણ મોંઘું પડે અને રસોડું ચલાવવું પણ મોંઘું પડે, તેવી નીતિ દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં.
કેન્દ્ર સરકાર દ્વારા ઝીરો ડ્યુટી પર ખાંડ આયાત કરવાની મંજૂરી
દેશમાં ખાંડના વધતા જતા ભાવને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડ (Raw Sugar) ને શૂન્ય ડ્યુટી (Zero Duty) પર આયાત કરવાની મંજૂરી આપી છે. સરકારનો હેતુ આ પગલા દ્વારા સ્થાનિક બજારમાં પુરવઠો વધારીને ભાવ સ્થિર કરવાનો છે. છેલ્લા એક દાયકામાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારત વિદેશમાંથી ખાંડની આયાત કરવા જઈ રહ્યું છે. હાલમાં દિલ્હી અને અન્ય શહેરોમાં ખાંડનો ભાવ રૂ. 65 થી રૂ. 67 પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે.
