ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ સાથે કેશ સર્ક્યુલેશન ₹42.76 લાખ કરોડે પહોંચ્યું: જાણો કેમ વધી રહી છે રોકડની માગ
ભારતમાં યુપીઆઈ (UPI) અને ડિજિટલ પેમેન્ટ્સ રોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે, પરંતુ તેની સામે રોકડ નાણાં (Cash) ની માગ ઘટવાને બદલે બેવડા આંકડાના દરે વધી રહી છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધવા છતાં ભૌતિક ચલણ (Physical Currency) પરની નિર્ભરતા યથાવત રહેતા ભારતીય રિઝર્વ બેંક (RBI) માટે આગામી સમયમાં કેટલી નવી નોટો છાપવી અને તેને દેશના કયા પ્રદેશોમાં ક્યારે પહોંચાડવી તેનું ચોક્કસ અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે.

RBIના ડેપ્યુટી ગવર્નરે વ્યક્ત કરી ચિંતા
એક અહેવાલ મુજબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુએ જણાવ્યું છે કે ભારતમાં ડિજિટલ ચુકવણી તરફ લોકોનો ઝુકાવ ઝડપથી વધ્યો હોવા છતાં, દેશની રોકડ પરની નિર્ભરતા ઓછી થઈ નથી. ચલણમાં રહેલી રોકડની માત્રા જે ડબલ ડિજિટ ગ્રોથ રેટથી વધી રહી છે, તેનાથી રિઝર્વ બેંક માટે ભવિષ્યની કેશ ડિમાન્ડનું આકલન કરવું અને લોજિસ્ટિક્સનું આયોજન કરવું જટિલ બન્યું છે.
શું કહે છે ચલણી નોટોના આંકડા?
હાલમાં દેશમાં આશરે 176 અબજ ચલણી નોટો સર્ક્યુલેશનમાં છે. આરબીઆઈના તાજેતરના આંકડા અનુસાર, જુલાઈ 2026 સુધીમાં દેશમાં કુલ ‘કરન્સી ઈન સર્ક્યુલેશન’ વધીને ₹42.76 લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ છે, જે વિતેલા વર્ષની સરખામણીએ 12.5% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. બેંકનોટોના સંચાલન માટે RBIએ દર વર્ષે 28 થી 30 અબજ નવી નોટો છાપવી પડે છે, જ્યારે ગંદા કે ફાટી ગયેલા આશરે 21 અબજ જૂના નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવે છે. વર્તમાન ટ્રેન્ડને કારણે બેંકનોટોના ઉત્પાદન, બદલાવ અને વિતરણ ક્ષમતાનું આયોજન કરવું બેંક માટે મુશ્કેલ બની રહ્યું છે.

ડિજિટલ યુગમાં પણ કેશની માગ કેમ વધી રહી છે?
લોકો દૈનિક ખરીદી અને નાના વ્યવહારો માટે યુપીઆઈનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ કટોકટી કે ઈમરજન્સીના સમય માટે ઘરમાં રોકડ રકમ સાચવી રાખવાની ટેવ હજુ પણ યથાવત છે. આ સિવાય ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા વર્ગો, વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારીઓ આજે પણ રોકડ વ્યવહારોને જ સૌથી વધુ સુરક્ષિત અને સરળ વિકલ્પ માને છે. ડિજિટલ ટેકનોલોજી અંગેની અણસમજ અને સાયબર ફ્રોડનો ડર પણ લોકોને કેશ ટ્રાન્ઝેક્શન તરફ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.
