મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સ વેચવા પર કેમ જરૂરી છે ITRમાં હિસાબ આપવો? જાણો વિગત
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે જો તેમણે એકમુશ્ત (લમ્પસમ) રકમનું રોકાણ કર્યું હોય પરંતુ ઇનકમ ટેક્સ રિટર્ન (ITR)માં તેની માહિતી ન આપી હોય તો શું મુશ્કેલી પડી શકે. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે માત્ર મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને તેને વેચવાના ટેક્સ નિયમો સંપૂર્ણપણે અલગ છે.

માત્ર રોકાણ કરવાથી ટેક્સ લાગતો નથી
જો તમે નાણાકીય વર્ષ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સ ખરીદી છે પરંતુ તેને વેચી કે રિડીમ કરી નથી, તો માત્ર રોકાણ કરવાથી સામાન્ય રીતે કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. તેથી તેને કેપિટલ ગેઇન તરીકે ITRમાં દર્શાવવાની જરૂર હોતી નથી. પરંતુ, મોટા રોકાણની માહિતી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સુધી આપમેળે પહોંચી જાય છે. એક નાણાકીય વર્ષમાં ₹10 લાખ કે તેથી વધુ રકમનું મ્યુચ્યુઅલ ફંડ રોકાણ SFT (Statement of Financial Transactions) દ્વારા રિપોર્ટ કરવામાં આવે છે. તેથી ITR ભરતા પહેલાં AIS (Annual Information Statement) અને TIS (Taxpayer Information Summary) જરૂર તપાસી લેવા જોઈએ.
યુનિટ્સ વેચવા પર આપવો પડશે હિસાબ
જો તમે મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સ વેચી કે રિડીમ કરી છે, તો તેનાથી નફો કે નુકસાન થઈ શકે છે. આવા વ્યવહારોને ITRમાં સાચી રીતે દર્શાવવા અત્યંત જરૂરી છે. નફા પર નિયમ અનુસાર શોર્ટ ટર્મ કે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગી શકે છે. જ્યારે નુકસાન દર્શાવવાથી તેને આગળના વર્ષોમાં કેરી-ફોરવર્ડ કરવાનો લાભ મળી શકે છે. જો ટેક્સપાત્ર કેપિટલ ગેઇનની આવક ITRમાં દર્શાવવાની રહી જાય, તો ટેક્સ પ્રોસેસિંગ દરમિયાન વધારાનો ટેક્સ અને પેનલ્ટી બની શકે છે, જેનાથી તમારો રિફંડ ઘટી શકે છે.

ભૂલ થઈ જાય તો શું કરવું?
જો તમારી કોઈ ભૂલ રહી ગઈ હોય, તો સૌથી પહેલાં ઈ-ફાઇલિંગ એકાઉન્ટમાંથી AIS અને TIS ચકાસો. ત્યારબાદ ફંડ હાઉસ, CAMS કે KFintech પાસેથી કન્સોલિડેટેડ કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ મેળવો. જો કેપિટલ ગેઇન કે લોસ ITRમાં દર્શાવવાનો રહી ગયો હોય, તો તેને સુધારવા માટે રવાઇઝ્ડ ITR (Revised ITR) ફાઇલ કરી શકાય છે.
નાણાકીય વર્ષ 2025-26 (એસેસમેન્ટ યર 2026-27) માટે રિવાઇઝ્ડ ITR 31 માર્ચ 2027 સુધી ફાઇલ કરી શકાય છે. જોકે, 31 ડિસેમ્બર 2026 પછી રિવાઇઝ્ડ ITR ફાઇલ કરવા પર સેક્શન 234-I હેઠળ વધારાની લેટ ફી લાગુ પડે છે. જો રિવાઇઝ્ડ ITRની સમયમર્યાદા પૂરી થઈ જાય, તો ITR-U (Updated ITR)નો વિકલ્પ ઉપલબ્ધ રહે છે, જે 48 મહિના સુધી ભરી શકાય છે. પરંતુ ITR-Uમાં વધુ ટેક્સ અને શરતો લાગુ થાય છે તેમજ તેના દ્વારા રિફંડનો દાવો કરી શકાતો નથી. તેથી સમયસર સાચું રિટર્ન ભરવું જ હિતાવહ છે.
