શું GLP-1 દવાઓ લીધા પછી સર્જરીની જરૂર નથી રહેતી? જાણો ફિટનેસ અને વજન ઘટાડા અંગે હેલ્થ એક્સપર્ટ્સનું શુ કહેવું છે
છેલ્લા કેટલાક સમયથી વજન ઘટાડવાની અને મોટાપાની સારવારમાં GLP-1 દવાઓની ચર્ચા વૈશ્વિક સ્તરે ખૂબ વધી ગઈ છે. આ દવાઓ ભૂખ ઓછી કરવા, પેટ ભરેલું રાખવા અને ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. જે લોકો વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક કે અન્ય પ્રકારની સર્જરી કરાવવા માગતા નથી, તેમના માટે આ દવાઓ એક બહેતર વિકલ્પ બનીને ઊભરી છે.
જોકે, નિષ્ણાત તબીબોનું માનવું છે કે આ નવી દવાઓના આગમનથી વજન ઘટાડવાની સર્જરી, યોગ્ય આહાર (ડાયેટ) અને શારીરિક પ્રવૃત્તિનું મહત્વ ઓછું થઈ જતું નથી.

GLP-1 દવાઓ કેવી રીતે કામ કરે છે?
GLP-1 દવાઓ શરીરમાં ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ પર અસર કરે છે. ખોરાક લીધા પછી આ દવાઓ લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે, જેના કારણે વ્યક્તિ ઓછો ખોરાક લે છે અને વજન ઘટવા લાગે છે.
તબીબોના મતે, આ દવાઓએ મોટાપાની સારવારની શૈલીમાં મોટો બદલાવ આણ્યો છે, પરંતુ તેને કોઈ ‘જાદુઈ ઈન્જેક્શન’ ગણવાની ભૂલ ન કરવી જોઈએ. આ દવા શરૂ કરતા પહેલાં દર્દીના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ, વજન વધવાના કારણો અને અન્ય રોગોનું પરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે.
શું હવે સર્જરીની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે?
આ પ્રશ્નનો જવાબ ‘ના’ છે. અતિશય મોટોપો (Morbid Obesity) ધરાવતા દર્દીઓ માટે સર્જરી આજે પણ એક અત્યંત અસરકારક અને જરૂરી વિકલ્પ છે. ખાસ કરીને જ્યારે મોટાપાની સાથે દર્દીને નીચે મુજબની ગંભીર બીમારીઓ હોય:
ટાઈપ-2 ડાયાબિટીસ (Type-2 Diabetes)
હૃદયરોગ (Heart Diseases)
ફેટી લિવર (Fatty Liver)
સ્લીપ એપ્નિયા (ઊંઘમાં શ્વાસ રૂંધાવો)
મોટાપો એ એક લાંબા ગાળાની બીમારી છે. તેથી સારવારનો નિર્ણય માત્ર સ્કેલ પર વજન જોઈને લઈ શકાતો નથી, પરંતુ દર્દીની સમગ્ર શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાય છે.
GLP-1 દવાઓને સરળ રસ્તો ન સમજવો
ડોક્ટરોની સૌથી મોટી ચિંતા એ છે કે લોકપ્રિયતાના કારણે ઘણા લોકો ડૉક્ટરની સલાહ કે દેખરેખ વગર જ આ દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. GLP-1 દવાઓ વજન ઘટાડવાનો કોઈ શોર્ટકટ કે આસાન રસ્તો નથી.
આ દવાઓના ઉપયોગ દરમિયાન ડોઝનું પ્રમાણ, નિયમિત હેલ્થ ચેકઅપ અને યોગ્ય આહાર બહુ મહત્વ ધરાવે છે. એક મહત્વની બાબત એ પણ છે કે દવા બંધ કર્યા પછી ઘણા લોકોનું વજન ફરીથી વધી શકે છે. તેથી લાંબા ગાળાના ફાયદા માટે જીવનશૈલીમાં સુધારો કરવો જ પડે છે.

પોષણ અને ખોરાકનું મહત્વ
GLP-1 દવાઓ ભૂખ ઘટાડી દે છે, તેથી દર્દીઓ ઓછો ખોરાક લે છે. આવા સમયે શરીરમાં પોષક તત્વોની ઉણપ ન સર્જાય તે જોવું જરૂરી છે. ડાયેટ નિષ્ણાતોના મતે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને પાણી હોવું અનિવાર્ય છે. આ સાથે જ દરરોજ કસરત, પૂરી ઊંઘ અને માનસિક તણાવ મુક્ત રહેવું જરૂરી છે.
નિર્ણય કેમના આધારે લેવો?
દરેક દર્દી માટે એક જ સારવાર પદ્ધતિ યોગ્ય હોતી નથી. કેટલાક લોકોને GLP-1 દવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે, તો ગંભીર મોટાપાથી પીડાતા લોકોને સર્જરીની જરૂર પડી શકે છે. યોગ્ય ડૉક્ટર, ડાયેટિશિયન અને ફિટનેસ એક્સપર્ટની સલાહ લઈને જ પોતાના સ્વાસ્થ્ય માટે સાચો નિર્ણય લેવો જોઈએ.
