Brain Health: યુવાનોમાં વધતી આ ખતરનાક બીમારી: જાણો શું છે ‘મિનિ સ્ટ્રોક’ અને તેના લક્ષણો
આજની ભાગદોડ ભરેલી જિંદગી અને ડિજિટલ યુગમાં લોકોના સુવાના કલાકો સતત ઘટી રહ્યા છે. દિવસભરના કામના ટેન્શન બાદ રાત્રે પણ મગજને આરામ મળતો નથી. તબીબી નિષ્ણાતોના મતે, અપૂરતી ઊંઘ અને મોડી રાત સુધી જાગવાની આ કુટેવ માનસિક સ્વાસ્થ્યને બગાડવાની સાથે સાથે મગજની નસોને પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે, જે આગળ જતાં બ્રેઈન સ્ટ્રોકનું મોટું કારણ બને છે.

મિનિ સ્ટ્રોક શું છે? (Transient Ischemic Attack)
મિનિ સ્ટ્રોકને તબીબી ભાષામાં ‘ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક’ (TIA – Transient Ischemic Attack) કહેવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે મગજના કોઈ ચોક્કસ ભાગમાં લોહીનો પ્રવાહ (Blood Flow) થોડા સમય માટે અટકી જાય છે અથવા તેમાં અવરોધ આવે છે. સામાન્ય રીતે આના લક્ષણો થોડી મિનિટો કે કલાકોમાં ગાયબ થઈ જાય છે, તેથી લોકો તેને સામાન્ય નબળાઈ સમજીને અવગણવાની ભૂલ કરે છે.
અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ’ (NIH) ના રિપોર્ટ અનુસાર, જે લોકોને મિનિ સ્ટ્રોક આવે છે, તેમાંથી દર ત્રણમાંથી એક વ્યક્તિને ભવિષ્યમાં મોટો અને ગંભીર બ્રેઈન સ્ટ્રોક આવવાની પૂરેપૂરી સંભાવના રહે છે. આમાંના અડધાથી વધુ કિસ્સાઓ તો મિનિ સ્ટ્રોક આવ્યાના એક વર્ષની અંદર જ સામે આવી જાય છે.
ઊંઘની કમી કેવી રીતે બને છે આ બીમારીનું કારણ?
બેંગલુરુના જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉ. ચંદના આર. ગૌડાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, ઊંઘનો અભાવ ન્યુરોલોજીકલ (મગજ સંબંધી) અને હૃદયની ગંભીર બીમારીઓ પાછળનું સૌથી મોટું કારણ બની રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત ઓછી ઊંઘ લે છે, ત્યારે તેના શરીરમાં તણાવ પેદા કરતા હોર્મોન્સ (જેમ કે કોર્ટિસોલ) નું સ્તર ખૂબ વધી જાય છે.
આ હોર્મોન્સ વધવાના કારણે બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે, લોહીની નસોમાં સોજો (Inflammation) આવે છે અને શરીરનું મેટાબોલિઝમ સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. લાંબા ગાળે આ બધી અસરો ભેગી થઈને મગજમાં લોહીની ગાંઠ (Clot) બનાવે છે, જે મિનિ સ્ટ્રોક તરફ દોરી જાય છે.
શા માટે શરીર અને મગજ માટે સારી ઊંઘ અનિવાર્ય છે?
તબીબોના મતે, ઊંઘ એ માત્ર આરામ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે શરીરનું ‘રિપેરિંગ સેન્ટર’ છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું શરીર લોહીની નસોનું સમારકામ કરે છે, બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રિત કરે છે અને આંતરિક સોજાને ઘટાડે છે.
‘નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યુટ’ ના સંશોધન મુજબ, લાંબા સમય સુધી ઊંઘ પૂરી ન થવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા (ઓબેસિટી), ડાયાબિટીસ અને હૃદયના રોગોનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ તમામ પરિબળો તબીબી વિજ્ઞાનમાં સ્ટ્રોક લાવવા માટેના મુખ્ય વિલન માનવામાં આવે છે.

મિનિ સ્ટ્રોકના લક્ષણો ઓળખો
મિનિ સ્ટ્રોકનો સૌથી મોટો પડકાર એ છે કે તેના લક્ષણો ખૂબ જ અલ્પજીવી હોય છે. જો નીચેનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય, તો તેને સામાન્ય થાક ગણીને છોડશો નહીં:
શરીરના કોઈ એક ભાગમાં કે હાથ-પગમાં અચાનક નબળાઈ અથવા તે ભાગ બહેરો (સુન્ન) થઈ જવો.
બોલવામાં તકલીફ પડવી અથવા સામેવાળાની વાત સમજવામાં મૂંઝવણ થવી.
અચાનક ચક્કર આવવા અથવા સંતુલન ગુમાવવું.
આંખો સામે અચાનક ધૂંધળું દેખાવું અથવા અંધારા આવી જવા.
ચહેરાનો એક ભાગ એકતરફ નમી જવો (ત્રાંસો થવો).
