Gold: વૈશ્વિક યુદ્ધના ભય વચ્ચે ભારતની મોટી ચાલ: વિદેશથી પરત લાવવામાં આવ્યું 104 ટન સોનું
વર્તમાન સમયમાં યુએસ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની અસર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે. આ વૈશ્વિક ગરમાવાને કારણે ભારતની અર્થવ્યવસ્થા પર પણ દબાણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પોતાની આર્થિક સુરક્ષાને સુદ્રઢ કરવા માટે ભારત હવે એક્શન મોડમાં આવ્યું છે. જેનો સૌથી મોટો પુરાવો વિદેશી બેંકોમાં પડેલા ભારતના સોનાને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા છે.

શા માટે લેવાયો આ મોટો નિર્ણય?
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અને વૈશ્વિક વિશ્લેષકોના મતે, અત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં એક ડર પેઠો છે કે અન્ય દેશોની સેફ કસ્ટડીમાં રાખેલું તેમનું સોનું કેટલું સુરક્ષિત છે? ભૂતકાળમાં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જે રીતે રશિયાની વિદેશી અસ્કયામતો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા, તેનાથી ભારત સાવચેત થઈ ગયું છે. ભારતનું મોટાભાગનું સોનું વર્ષોથી ‘બેંક ઓફ ઈંગ્લેન્ડ’ જેવી સંસ્થાઓમાં સુરક્ષિત રાખવામાં આવતું હતું, પરંતુ યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો જેવી પરિસ્થિતિમાં આ સોનાની ઉપલબ્ધતા સામે જોખમ ઊભું થઈ શકે છે.
RBI ના તાજેતરના આંકડા શું કહે છે?
RBI દ્વારા ઓક્ટોબર 2025 થી માર્ચ 2026 ના સમયગાળા માટે જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, ભારતની વ્યૂહરચનામાં મોટો બદલાવ જોવા મળ્યો છે:
કુલ સુવર્ણ ભંડાર: ભારત પાસે અત્યારે કુલ 880.52 મીટ્રિક ટન સોનું છે.
સ્વદેશી સંગ્રહ: આ કુલ જથ્થાના આશરે 77% એટલે કે 680 ટન સોનું હવે ભારતમાં જ સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
વિદેશમાં બાકી જથ્થો: હજુ પણ 197.67 ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે છે, જ્યારે 2.8 ટન ડિપોઝિટ તરીકે છે.

છ મહિનામાં મોટો ફેરફાર
ભારત કેટલી ઝડપથી પોતાની આર્થિક નીતિ બદલી રહ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા માત્ર 6 મહિનામાં 104.23 ટન સોનું ભારત પરત લાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે માર્ચ 2023 સુધી ભારતનું માત્ર 37% સોનું જ દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે. આ આંકડા દર્શાવે છે કે ભારત હવે કોઈપણ બાહ્ય આર્થિક જોખમને હળવાશથી લેવા માંગતું નથી.
