પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં ૧૭ મહિના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થાપને કર્યો છે. સચિને મૂસેવાલાની હત્યાનું કારણ અને મૃત્યુની તારીખ નક્કી કરવાનો સમય અંગે પણ ખુલાસો કરી દીધો છે. સચિનના મતે કબડ્ડી કપ ૨૦૨૧માં યોજાયો હતો. આ ઘટના મૂસેવાલાની હત્યાનું કારણ બની હતી. આ કાર્યક્રમનું આયોજન બંબીહા ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સચિને કહ્યું કે તે આ દરમિયાન જેલમાં હતો પરંતુ તેને ખબર પડી ગઈ હતી કે મૂસેવાલાની હત્યા કરવામાં આવશે.
સચિનને અઝરબૈજાનથી ભારત લાવ્યા બાદ માનસા પોલીસ તેને પ્રોડક્શન વોરંટ પર લાવી હતી. સચિન થાપને જણાવ્યું કે તે ઓગસ્ટ ૨૦૨૧માં લોરેન્સ બિશ્નોઈ સાથે રાજસ્થાનની અજમેર જેલમાં બંધ હતો. તે દરમિયાન પંજાબમાં કબડ્ડી કપનું આયોજન થવાનું હતું. આ કબડ્ડી કપનું આયોજન બંબીહા ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું.
લોરેન્સે ફોન પર મૂસેવાલાને આ કપમાં ન જવા કહ્યું હતું. લોરેન્સના ઇનકાર છતાં સિદ્ધુ મૂસેવાલા ત્યાં ગયો. ત્યારબાદ લોરેન્સે મૂસેવાલાને ફોન પર પૂછ્યું કે તેના ના પાડવા છતાં તે ત્યાં કેમ ગયો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન થાપને જણાવ્યું હતું કે લોરેન્સે મૂસેવાલાને અપશબ્દો કહ્યા હતા અને મૂસેવાલાએ પણ તેને એ જ ભાષામાં જવાબ આપ્યો હતો. સિદ્ધુ મૂસેવાલાની ૨૯ મે ૨૦૨૨ના રોજ માણસાના જવાહરકે ગામમાં અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં લોરેન્સ અને ગોલ્ડી બરાડ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે ૩૦થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. માનસાના એસએસપી ડૉ.નાનક સિંહે કહ્યું કે આ મામલો હજુ તપાસનો વિષય છે. કંઈપણ કહેવું યોગ્ય રહેશે નહીં.
