બીસીસીઆઈએ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ટીમની જાહેરાત કરી ચુકી છે. જાે કે બીસીસીઆઈ પાસે ૨૮ સેપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર કરવાનો મોકો છે. આ દરમિયાન ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર વર્લ્ડ કપથી બહાર થવાની તલવાર લટકી રહી છે. જાે તે આ પહેલા ફીટ નહી થાય તો તે ટીમની બહાર થઇ શકે છે.એશિયા કપ ૨૦૨૩માં સુપર-૪ના મેચ દરમિયાન અક્ષરને ઈજા થઇ હતી. જેના કારણે તે ફાઈનલ મેચ રમી શક્યો ન હતો અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અક્ષર વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે. પરંતુ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ૩ મેચની વનડે સિરીઝના પ્રથમ બે મેચ માટે તે ઉપલબ્ધ નથી. જાે તે ત્રીજી મેચ નથી રમતો અને ૨૮ સેપ્ટેમ્બર સુધી પોતાની ફિટનેસ સાબિત કરવામાં અસફળ થાય છે તો તે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમથી બહાર થઈ શકે છે અને તેને અશ્વિન અથવા વોશિંગ્ટન સુંદર સાથે રિપ્લેસ કરી શકાય છે.