તાજેતરના ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં ઠેર-ઠેર કન્જક્ટિવાઇટિસના કેસ જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં નાનાથી લઈને મોટા સુધીના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા ૨૪ કલાકમાં કન્જક્ટિવાઇટિસના ૨૬૩ કેસ નોંધાયા છે. ખાનગી શાળાઓમાં તો આ કેસના મામલે વિદ્યાર્થીને તરત જ ઘેર મોકલી દેવાય છે અને હવે મ્યુનિસિપલ શાળાઓમાં પણ આ રોગે ફેલાવો કર્યો હોઈ તંત્ર પણ સાવધ બન્યું છે. અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. વિવિધ હોસ્પિટલની ઓપીડીમાં દર દસમાંથી સાતથી આઠ કેસ કન્જક્ટિવાઇટિસ એટલે કે ‘અખિયાં મિલાકે’ના આવી રહ્યા છે.
આ દરમિયાન અમદાવાદ મ્યુનિ. શિક્ષક મંડળે મ્યુનિ. શાળાઓમાં અખિયાં મિલાકેનો ચેપ ફેલાયો હોઈ આ ચેપનો ભોગ બનેલાં બાળકોને શાળામાં બે દિવસ રજા આપવાની માગણી કરી છે. આ ઉપરાંત કન્જક્ટિવાઇટિસનો ભોગ બનેલા શિક્ષકોને પણ ઓન ડ્યૂટી ગણી બે દિવસની રજા આપવા બાબતે માગણી કરાઈ છે. પ્રમુખ મનોજ પટેલે આ અંગે મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ. ડી. દેસાઈને પત્ર લખ્યો છે.
આ દરમિયાન આ અંગે મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ. ડી. દેસાઈને પૂછતાં તેઓ કહે છે, ‘અખિયાં મિલાકે’નાં રોગગ્રસ્ત બાળકોને તત્કાળ ઘરે મોકલી દેવાની સૂચના શિક્ષકોને અપાઈ છે. આ રોગના ચેપથી બચવા શું કરવું અને શું ના કરવું વગેરે બાબતોને લગતો પરિપત્ર આજે પ્રસિદ્ધ કરાશે.
આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજાે આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજાે આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે. વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.