શરૂઆતથી જ એવી અટકળો હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઈન્ડિયાગઠબંધનના કન્વીનર બનાવવામાં આવશે, પરંતુ હવે તેને આ વાત પર મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, હવે નીતિશ કુમારની બદલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કન્વીનર બનાવવામાં આવી શકે છે. આ સિવાય અન્ય મુખ્ય પક્ષોના ૧૧ નેતાઓને સહ-સંયોજકોની જવાબદારી મળી શકે છે. ૩૧મી ઓગસ્ટ અને ૧લી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે. એટલું જ નહીં, આ દરમિયાન ઈન્ડિયાએલાયન્સના લોગોનું અનાવરણ થઈ શકે છે અને દિલ્હીમાં હેડક્વાર્ટર બનાવવાની જાહેરાત પણ થઈ શકે છે.જેડીયુના સૂત્રોનું કહેવું છે કે, નીતિશ કુમારે પોતે કન્વીનર બનવાની ના પાડી દીધી છે.
તેમના વતી કોંગ્રેસને તેના એક નેતાને કન્વીનર તરીકે નિયુક્ત કરવા કહેવામાં આવ્યું છે. ત્યારથી ખડગેને લઈને અટકળો ચાલી રહી છે. જાે કે એવી પણ ચર્ચા છે કે નીતીશ કુમારના નામ પર સહમત થવું મુશ્કેલ હતું અને ખુદ લાલુ યાદવના નિવેદન બાદ સસ્પેન્સ વધુ ગાઢ બન્યું હતું. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે નીતિશ કુમારે પોતે જ પોતાનું નામ પાછું ખેંચીને કોંગ્રેસને આગળ કરી દીધી છે. નીતિશ કુમારનું કહેવું છે કે, તેઓ માત્ર એકતા માટે કામ કરવા માંગે છે. સંયોજક બનવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
