દેશની રાજધાની નવી દિલ્હીમાં જી૨૦ સમિટને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે. આ દરમિયાન જ સંપૂર્ણ રાજ્યમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરવામાં આવતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૬૦થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ)ના પ્રવક્તાએ આપી હતી. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે આગામી ૩ દિવસોમાં જી૨૦ સમિટમાં જાેડાવા માટે ફ્લાઈટોના સંચાલનને કારણે લગભગ ૮૦ જેટલી આવનારી અને ૮૦ જેટલી જનારી ફ્લાઈટોની અવર-જવર પર પણ અસર થશે અને તેના લીધે જ તેને રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સમિટના ૩ દિવસ માટે આવનારા વિમાનો માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
તેમણે કહ્યું કે અમે ૮૦ જેટલી ડિપાર્ટ અને ૮૦ જેટલી અરાઈવિંગ ડોમેસ્ટિક ફ્લાઈટોની નોંધ લીધી છે જેના પર ૩ દિવસમાં અસર થશે. કુલ ૧૬૦ ફ્લાઈટો થાય છે જે દિલ્હી એરપોર્ટ પર સામાન્ય દિવસોમાં આવતી જતી ફ્લાઈટોની ૮% જેટલી થાય છે જેને રદ કરવામાં આવી છે. આ પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર લાગુ નહીં પડે. આ સાથે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેનું પૂરેપુરું ધ્યાન રખાશે. આ સાથે જ વિસ્ટારા અને એર ઈન્ડિયા જેવી એરલાઈન્સ કંપનીએ તેમના કસ્ટમરને તેમણે ચૂકવેલા ચાર્જ માટે વન ટાઈમ વેવરની ઓફર કરી દીધી છે. મુસાફરોને અપડેટ ચેક કરતાં રહેવા પણ અપીલ કરાઈ છે. આ સાથે કસ્ટમરને ફ્લાઈટ રિશિડ્યુલ કે પછી રિફંડની ઓફર પણ કરાઈ છે.
