અમદાવાદના ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બોટાદના ૩ યુવાનોનાં મોત થયા છે. બોટાદના કૃણાલ રોનક અને અક્ષર નામના ૩ યુવાનોની અંતિમવિધિ બાદ તેમના પરિવારો પર દુખોનું પહાડ તુટી પડ્યું છે. ત્યારે મૃતક અક્ષરના પરિવારજનોએ પણ સમગ્ર ઘટનાને લઇને રોષ વ્યક્ત કર્યો છે.
એમબીએ માટે ફોર્મ ભરવા અમદાવાદ ગયેલા અક્ષરને પળવારમાં હત્યારા તથ્યની કારે ફંગોળતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પરિવારે સરકાર પર રોષ ઠાલવતાં એમ પણ કહ્યું કે, સહાયથી તેમનો પુત્ર પાછો આવનાર નથી.
જાે તે પાછો આવી જાય તો અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ. ત્યારે અક્ષરના પરિવારજનોએ દીકરા સામે દીકરાના જીવની માગ કરી છે. પરિવારજનોએ સરકાર સામે ન્યાય આપવાની વાત કરી છે. તો હત્યારા તથ્ય માટે ફાંસીની સજાથી કાંઇ પણ ઓછું મંજૂર નથી તેવો રોષ પણ વ્યક્ત કર્યો છે.
મૃતક અક્ષરના માતા પિતા અને પરિવારના સભ્યો હૈયા ફાટ રુદન કરતા આક્રોશ ઠાલવ્યો હતો કે, લાખો રૂપિયાને શુ કરવાં છે અમે સરકારને કહીએ છીએ અમારો લાડકવાયો અમને આપો અમે સરકારને રૂપિયા આપીશું. વધુમાં પરિજનોએ કહ્યું કે, પોતાના શોખ માટે નિર્દોષ લોકોના જીવ લેનાર નરાધમને અમારી સામે જાહેરમાં ફાંસી આપે. નરાધમ તથ્ય પટેલની ગાડીમાં છોકરીઓ અને ડ્રગ્સ તેમજ દારૂ પણ સાથે હોવાનું પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો અને તાત્કાલિક આકરામાં આકરી ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. દરેક મા બાપને પોતાનો દિકરો વૃધ્ધા અવસ્થામા લાકડીનો ટેકો બનતો હોય છે પરંતુ આ નરાધમ આરોપીએ આ પરિવારનો ટેકો છીનવી લીધો છે.