ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જાેખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત જાેખમોને ઘટાડવા માટે મધ્યમગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય સશક્તિકરણ યોજના બનાવવી જાેઈએ. આઈએમએફખાતે રાજકોષીય બાબતોના ડેપ્યુટી ડાયરેક્ટર રૂડ ડી મોઈઝે જણાવ્યું હતું કે ભારતનું વર્તમાન દેવું જીડીપીના ૮૧.૯ ટકા છે. ચીનના કિસ્સામાં આ પ્રમાણ ૮૩ ટકા છે. આ રીતે, બંને દેશો લગભગ સમાન સ્થિતિમાં છે. જાે કે કોરોના મહામારી પહેલા ભારતનું દેવું ૨૦૧૯ માં જીડીપીના ૭૫ ટકા હતું.
મોઇઝે કહ્યું કે, ભવિષ્યમાં ભારતનું દેવું ચીનની જેમ વધવાની શક્યતા નથી, પરંતુ તે ઘટવાની સંભાવના છે. ૨૦૨૮માં ભારતનું દેવું જીડીપીના ૧.૫ ટકા ઘટીને ૮૦.૪ ટકા થઈ જશે. તેમણે કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ દર ઊંચો છે અને તે આ જાેખમ ઘટાડવામાં મદદ કરશે. ઊંચો વિકાસદર પણ દેવું અને જીડીપી રેશિયો સાથે સંબંધ ધરાવે છે. મોઇઝે કહ્યું કે ભારતમાં કેટલાક રાજ્યો પર ઘણું દેવું છે. તેમણે વ્યાજના ભારે બોજનો સામનો કરવો પડે છે. આ એક પરિબળ છે જે ભારત માટે પણ જાેખમી છે. જાે કે, આ જાેખમોને પહોંચી વળવા માટે ભારત જે રીતે રાજકોષીય સશક્તિકરણનો ઉપયોગી રીતે સમર્થન આપી શકે છે તે પૈકી એક રીત ટેક્નિકલ પ્રણાલીને મજબૂત કરવી છે.
આઈએમએફઅધિકારીએ કહ્યું કે, ભારતમાં ૨૦૨૩માં રાજકોષીય ખાધ ૮.૮ ટકા રહી શકે છે. તેનો મોટો હિસ્સો વ્યાજ ખર્ચને કારણે છે, કારણ કે ભારત તેના દેવા પર વધુ વ્યાજ ચૂકવે છે, જે જીડીપીના ૫.૪ ટકા છે. પ્રાથમિક ખાધ ૩.૪% રહેવાથી રાજકોષીય ખાધ ૮.૮% સુધી પહોંચશે. પૂર્વ આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે મજબૂત માગ અને નિકાસના આધારે ભારત ૨૦૫૦ સુધીમાં ૩૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે.