ભારતીય મહિલા ટીમ અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે અમ્પાયરના ર્નિણય પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે ગુસ્સામાં પોતાનું બેટ વિકેટ પર માર્યું હતું. મેદાન પર અયોગ્ય વ્યવહાર માટે આઈસીસીએ તેની મેચ ફીના ૭૫ ટકાનો દંડ ફટકાર્યો છે. એક અધિકારીએ ક્રિકબઝને આ વાતની જાણકારી આપી છે. ભારતીય કેપ્ટને મેદાન પર દુર્વ્યહાર કર્યા બાદ પણ અમ્પાયરિંગને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ક્રિકબઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક મેચ ઓફિશિયલે તેની જાણકારી આપી છે કે કૌરને તેના અયોગ્ય વ્યવહાર માટે આઈસીસી તેની મેચ ફીના ૭૫ ટકા કાપી શકે છે. ૫૦ ટકા મેદાન પર તેના ખરાબ વ્યવહાર માટે અને ૨૫ ટકા તેના નિવેદન માટે. માત્ર એટલું જ નહીં હરમનપ્રીત કૌરને ૩ ડિમેરિટ પોઈન્ટ્સ પણ મળી શકે છે.
જ્યારે કોઈ ખેલાડી સતત કોડ ઓફ કંડક્ટ તોડે છે તો આ પોઈન્ટ્સ તેના પર લાગૂ કરવામાં આવે છે. હરમનપ્રીત કૌરના અયોગ્ય વ્યવહારને લેવલ ૨ની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. જાે ૨૪ મહિનાની અંદર કોઈ ખેલાડીને ૩થી ૪ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે તો તેના પર એક ટેસ્ટ મેચ કે ૨ લિમિયેડ ઓવરની મેચનો પ્રતિબંધ લાગી શકે છે. હરમનપ્રીત કૌરના પણ ૩ ડિમેરિટ પોઈન્ટ્સ છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વર્ષ ૨૦૧૭માં શ્રીલંકા સામે ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. તેણે સતત કોડ ઓફ કંડક્ટ તોડી દીધા હતા જેના કારણે તેના ૬ ડિમેરિટ પોઈન્ટ્સ થઈ ગયા હતા. આ રીતે જાડેજાએ એક મેચમાં પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
