કાશ્મીરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આતંકવાદ ફેલાયા બાદ પ્રથમ વખત અહીં ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના હબ્બા કદલ વિસ્તારમાં આવેલા ગણપતિયાર મંદિરમાં સૌથી મોટા ઉત્સવ અને પૂજાનું આયોજન થયું હતું.
કાશ્મીરી પંડિત નેતા સંજય ટીકકૂએ જણાવ્યું હતું કે, ‘ગણેશ ભગવાનન જન્મદિવસ પર મંદિરમાં હવાનની સાથે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેવી રીતે મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે તેવી રીતે જ આજે કાશ્મીરમાં પણ વિનાયક ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના દિવેસ સિદ્ધિવિનાયક મંદિરમાં અમે એક યજ્ઞ કરીએ છીએ જે લગભગ ૧૨થી ૧૪ કલાક સુધી ચાલે છે.
સ્થાનિક સમુદાયે જણાવ્યું હતું કે ગણેશ ભગવાનની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું આજે સાંજે ગણપતિયારમાં ઝેલમ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૮૯માં આતંકવાદ ફેલાયા બાદ આવું પહેલીવાર કરવામાં આવ્યું હતું. મૂર્તિને વિસર્જિત કરવા માટે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.