અમદાવાદ શહેરમાં અખિયાં મિલાકેના ટીખળી નામથી જાણીતા કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો થયો છે. હવે આ રોગ શાળામાં ભણતાં ભૂલકાંઓ સુધી પણ પહોંચી જતાં વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતાનો માહોલ છે. એક વર્ગમાં ભણતાં અનેક બાળકોમાં આ રોગનો ચેપ લાગવાનો ભય ઊભો થયો છે, જેના કારણે શાળા સંચાલકોએ વાલીઓ માટે સ્પષ્ટ સૂચના જાહેર કરી છે કે આંખ આવી હોય તેવાં બાળકોને શાળાએ ન મોકલવાં, જેથી અન્ય બાળકોને તેનો ચેપ ન લાગે. આંખો આવવાના કેસો વધતાં સ્કૂલના ટીચર્સ સાવચેતીના ભાગરૂપે સાદાં ચશ્માં કે ગોગલ્સ પહેરીને સ્કૂલમાં આવી રહ્યા છે.
આજે શહેરની કેટલીક શાળાઓમાં કેજીનાં બાળકો તેમજ આંખમાં ખંજવાળની ફરિયાદ કરનાર અને લાલ આંખવાળા અન્ય વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સ્કૂલમાંથી વાલીઓને ફોન કરીને પોતાનાં સંતાનોને ઘરે લઇ જવા માટે જણાવાઈ રહ્યું છે, જેથી વાલીઓ તરત જ સ્કૂલે પહોંચીને બાળકને ઘરે લઇ આવ્યા હતા. અખિયાં મિલાકે નામે જાણીતા થયેલા આંખનો રોગ વરસાદ દરમિયાન ઘરમાં સૂકવેલાં અને અડધાં ભીનાં કપડાંથી પણ પ્રસરી શકે છે. શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થયાના થોડા દિવસ દરમિયાન જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા બાદ હવે કન્જક્ટિવાઇટિસના રોગમાં વધારો જાેવા મળી રહ્યો છે. હાલમાં હોસ્પિટલમાં આવતા દર્દીમાંથી ૪૦ ટકા જેટલા દર્દીમાં આંખ આવવાના રોગના જાેવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કન્જક્ટિવાઇટિસ રોગના કારણે ડોક્ટર્સ સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.
બેક્ટેરિયાના કારણે એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરતો આ રોગ ઘરમાં સૂકવવામાં આવતાં અડધાં ભીનાં રહેતાં કપડાંમાં રહી જતા બેક્ટેરિયાથી પણ ફેલાઇ શકે છે, જેથી ચોમાસાની સિઝનમાં કપડાં પૂરેપૂરાં સુકાઇ જાય તેની તકેદારી રાખવી જરૂરી છે એટલું જ નહિ, કન્જક્ટિવાઇટિસના દર્દીએ વાપરેલી વસ્તુ કે કપડાંના ઉપયોગથી પણ આ રોગ અન્યમાં ફેલાતો હોય છે. ઘરમાં કોઇ વ્યકિતને કન્જક્ટિવાઇટિસ થયો હોય તેનાં કપડાં સાથે સૂકવેલાં બીજાં કપડાંમાં બેક્ટેરિયા ઝડપથી પ્રસરે છે, જેથી દર્દીનાં કપડાં ભલે જુદાં રાખ્યાં હોય છતાં આ ચેપ ફેલાય છે.
‘પિંક આઈઝ’ તરીકે ઓળખાતા આ રોગમાં જાે ચેપ તીવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે, છતાં જાે તકેદારી રાખવામાં આવે તો શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં તેમાંથી રાહત મળી શકે છે. શહેરમાં જ નહીં, પરંતુ રાજ્યનાં ઘણાં શહેરોમાં આંખો આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આંખો આવવી એ સામાન્ય અને જૂની બીમારી છે. આંખો આવે એટલે આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, આંખોમાં સોજા અને ખંજવાળ આવે છે. આંખો આવે એટલે કોઇ ઘરગથ્થુ ઇલાજ ન કરતા, નજીકની કોઇ પણ હોસ્પિટલમાં જવું જરૂરી છે.