કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ બીજેપી સમર્થકો અને વોટરોને સાક્ષસી વૃતિના ગણાવ્યા છે. સૂરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, બીજેપીને મત આપનારા અને તેના સમર્થકો રાક્ષસી વૃતિના છે. હું મહાભારતની ધરતી પરથી તેમને શ્રાપ આપું છું. સુરજેવાલાના આ નિવેદન પર બીજેપી ભડકી ગઈ છે. બીજેપી નેતા અમિત માલવીયએ સુરજેવાલાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ માનસિક સ્થિતિના કારણે જ પાર્ટી અને તેમના નેતાઓએ જનાધાર ગુમાવી દીધો છે.
સુરજેવાલા હરિયાણાના કૈથલમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યાં તેમણે બેરોજગારી મુદ્દે ખટ્ટર સરકારે ઘેરી હતી.તેમણે કહ્યું કે, યુવાનો ન્યાય માંગવા માટે ગરમીમાં ચાલવાથી નથી ડરતા પરંતુ સરકારના અતિરેકથી ડરે છે. તેમણે કહ્યું કે, આ સરકાર તેમના ભવિષ્ય સાથે રમી રહી છે. આ જ કારણ છે કે, અમે આ યુવાનો માટે ન્યાય માંગવા માટે ૧૭ કિલોમીટર પગપાળા ચાલ્યા. તમે તેમની પાસેથી પરીક્ષામાં બેસવાનો અવસર પણ છીનવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ અને જેજેપી રાક્ષસોની પાર્ટી છે.
જે લોકો ભાજપને મત આપે છે અને તેનું સમર્થન કરે છે તે પણ રાક્ષસી વૃતિના છે. આજે મહાભારતની આ ભૂમિ પરથી તેમને શ્રાપ આપું છું.રણદીપ સુરજેવાલાના આ નિવેદન પર બીજેપી ભડકી છે. બીજેપીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. બીજેપીના આઈટી હેડ અમિત માલવીયએ ટ્વીટ કર્યું કે, રાહુલ ગાંધીના ખાસ સુરજેવાલા બીજેપીને મત આપનારાને સાક્ષસ કહી રહ્યા છે અને શ્રાપ પણ આપી રહ્યા છે. કોંગ્રેસ તેના હાઈકમાન્ડ અને દરબારીઓની આ માનસિક સ્થિતિને કારણે પાર્ટી અને તેના નેતાઓએ તેમનો જનાધાર ગુમાવી દીધો છે. પરંતુ હવે તેઓને જનતા દરબારમાં વધુ અપમાનિત થવું પડશે.