કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે બુધવારે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો હતો કે બજેટમાં મનરેગા યોજનાની ફાળવણીમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો કર્યા પછી પણ મોદી સરકારે દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મનરેગા વેતનના ૬,૩૬૬ કરોડ રૂપિયા આપવાના બાકી છે.મલ્લિકાર્જુન ખડગેએ ૧૮ વર્ષ પહેલા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા મુખ્ય ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમ મનરેગાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૦૫માં આ દિવસે અમારી કોંગ્રેસ-યુપીએ સરકારે કરોડો લોકોને કામ કરવાનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે મનરેગા લાગુ કરી હતી.
ખડગેએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મોદી સરકાર દ્વારા આ વર્ષે મનરેગાના બજેટમાં ૩૩ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર પર ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મનરેગા વેતન પેટે રૂ. ૬,૩૬૬ કરોડનું દેવું છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના લગભગ ૧૪.૪૨ કરોડ શ્રમિકો માટે મહત્વપૂર્ણ છે. આમાં અડધાથી વધુ મહિલાઓ છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જ્યારે કોરોના પાનડેમિકને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે મનરેગા કામદારો માટે જીવાદોરી સાબિત થઇ હતી. મનરેગાએ પાનડેમિક દરમિયાન આવકના ૮૦ ટકા નુકસાનની ભરપાઈ કરી અને મુશ્કેલ સમયમાં લોકોને તેમની આજીવિકા જાળવવામાં મદદ કરવામાં સકારાત્મક ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે આ દિવસે મનમોહન સિંહના નેતૃત્વમાં મનરેગા યોજના શરુ કરવામાં આવી હતી.