China Bans Exports: ચીનના નિર્ણયથી ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં વળાંક
China Bans Exports: ચીને તાજેતરમાં જમીનમાંથી નીકળતા દુર્લભ ચુંબકના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુંબકીય સામગ્રીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોના મોટર બનાવવા માટે થાય છે. જો આ પ્રતિબંધ આગળ ચાલુ રહેશે તો તે ઓટો ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની શકે છે.
China Bans Exports: ભારતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે. આ લોકપ્રિયતાનો લાભ લેવા માટે, ઘણી કંપનીઓએ ઘણા નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે અને ઉદ્યોગ અનુસાર માળખાગત સુવિધાઓ વિકસાવવાનું કામ કર્યું છે. પરંતુ હવે ચીને ભારતના EV ઉદ્યોગના ભવિષ્યને જોખમમાં મૂક્યું છે. વાસ્તવમાં, ચીને દુર્લભ ચુંબકના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આવા પગલાથી માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ ભારતમાં સમગ્ર EV ઉદ્યોગને નુકસાન થઈ શકે છે.
અમેરિકન જીઓલોજીકલ સર્વે અનુસાર, ગયા વર્ષે દુર્લભ ધરતી ખનિજોના ઉત્પાદનમાં ચીનની હિસ્સેદારી 69% હતી. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) મુજબ, ચાર ચુંબકીય દુર્લભ ધરતી તત્વો (Nd, Pr, Dy, Tb)ની વૈશ્વિક પુરવઠા શ્રેણીમાં ચીનનો હિસ્સો 90%થી વધુ છે. આ તત્વોનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોની મોટરો માટે સ્થાયી ચુંબક (પર્મનેન્ટ મેગ્નેટ) બનાવવામાં થાય છે. તેમાં નિયોડિમિયમ (Neodymium), પ્રેઝીઓડિમિયમ (Praseodymium), ડિસ્પ્રોસિયમ (Dysprosium) અને ટેરબિયમ (Terbium) જેવા તત્વોનો સમાવેશ થાય છે.

કઈ કારમાં કેટલું ચુંબક વપરાય છે?
પેટ્રોલ-ડીઝલથી ચાલતી ઇન્ટર્નલ કમ્બશન એન્જિન વાળી કાર બનાવવામાં આ તત્વોનો અંદાજે 140 ગ્રામ જેટલો ઉપયોગ થાય છે. જ્યારે મોટર-બેટરી કોમ્બો ધરાવતી ઇલેક્ટ્રિક વાહન બનાવવામાં આ તત્વોનો ઉપયોગ લગભગ 550 ગ્રામ જેટલો થાય છે. ઇલેક્ટ્રિક વાહનો માટે મહત્વપૂર્ણ ઘટક હોવા ઉપરાંત, આ ચુંબકોનો ઉપયોગ પાવર વિન્ડો અને ઑડિયો સ્પીકરો બનાવવા માટે પણ થાય છે.
પ્રધાનમંત્રીને કરાઈ વિનંતી
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ બજાર છે અને અહીં હ્યુન્ડાઈ, મારુતિ સુઝુકી, ફોક્સવેગન અને અનેક અન્ય કાર નિર્માતાઓ માટે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાય છે. જો ચીનનો આ પ્રતિબંધ યથાવત્ રહેશે, તો આગામી દિવસોમાં ભારતીય ઓટોમોબાઈલ ઉત્પાદન ક્ષેત્ર સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે. વાહન નિર્માતાઓના સંગઠન SIAM (સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) એ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને ઉકેલની શોધ કરી રહી છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની પણ માંગણી કરવામાં આવી છે.

ક્યાં સુધી ઠપ્પ રહી શકે છે ઉત્પાદન?
બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ચીનના પ્રતિબંધને લઈને ભારતીય ઓટો સેક્ટર માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. SIAMએ 19 મેના રોજ મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સના અધિકારીઓની હાજરીમાં આયોજિત એક બેઠકમાં જણાવ્યું હતું કે મેના અંત કે જૂનના પ્રારંભથી ઓટો ઉદ્યોગનું ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાની શક્યતા છે.