અમદાવાદમાં જૂની અદાવતમાં હત્યાની ઘટના બની છે. આ બનાવમાં હત્યા પહેલા આરોપીએ મૃતકના ઘરે પણ હુમલો કર્યો હતો. માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. માધવપુરા વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીકીને યુવકની હત્યા થતા સનસનાટી મચી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દેહસત ફેલાઈ હતી અને માધવપુરા બજાર બંધ નું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.
ઘટના એવી છે કે માધવપુરા વિસ્તારમાં રહેતા કૃણાલ ઠાકોર નામના યુવકને એક્ટિવા પર આવેલા ૪ શખ્સો કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ ઠાકોરએ છરીના ઘા ઝીકીને જાહેરમાં કૃણાલની હત્યા કરી દીધી.
હત્યા પહેલા આરોપીઓ કૃણાલના ઘરે ગયા હતા અને ઝઘડો કરીને હુમલો કર્યો હતો, પરંતુ કુણાલના પરિવારે પોલીસને જાણ કરતા આરોપી ત્યાંથી નીકળી ગયા હતા અને રાત્રે કુણાલ એકલો મળી આવતા તેની પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી.
યુવકની જાહેરમાં હત્યા કેસમાં પરિવારે માધવપુરાના દશરથ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. દશરથ ઠાકોર અને કુણાલના પરિવાર સાથે ઝઘડો ચાલતો હતો. જેની અદાવત રાખીને દશરથ ઠાકોર સોપારી આપીને હત્યા કરાઈ હોવાના આક્ષેપો પરિવારે કર્યા હતા. જાહેરમાં હત્યા થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. જ્યારે માધવપુરા બજાર પર બંધ રાખવામાં આવ્યું હતું.
માધવપુરા પોલીસે કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે હત્યા બાદ મોડી રાત્રે મૃતકના પરિવાજનો અને આરોપી પક્ષ આમને સામને આવી ગયા હતા જેમાં પોલીસ સમયસર પહોંચી જતા બીજાે બનાવ બનતો અટકી ગયો હતો પરંતુ પોલીસને મૃતકના પરિવાજનો સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું.
