Advantage Assam 2.0
Advantage Assam 2.0: માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે આસામમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાના માર્ગ પ્રોજેક્ટ્સ પર કામ ટૂંક સમયમાં શરૂ થશે. ‘એડવાન્ટેજ આસામ 2.0 બિઝનેસ સમિટ’ ખાતે રોડ, રેલ્વે અને નદીના માળખાગત સુવિધાઓ પર ઓનલાઇન સત્રને સંબોધતા, તેમણે કહ્યું કે તેમના મંત્રાલય હેઠળ રાજ્યમાં 2029 સુધીમાં 15 વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવશે. ગડકરીએ જણાવ્યું હતું કે જે નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થશે તેમાં ગુવાહાટી રિંગ રોડ, બ્રહ્મપુત્ર નદીની નીચે એક ટનલ અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 60,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ પહેલાથી જ ચાલી રહ્યું છે અને તે પૂર્ણતાના વિવિધ તબક્કામાં છે.
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં આસામમાં જળમાર્ગો અને સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. ૪,૮૦૦ કરોડ ખર્ચ કરશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીએ અહીં ‘એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ’ દરમિયાન રાજ્યના રોડ, રેલ્વે અને નદીના માળખાગત સુવિધાઓ પરના એક સત્ર દરમિયાન આ વાત કહી. સોનોવાલે કહ્યું કે હું જાહેરાત કરવા માંગુ છું કે આગામી પાંચ વર્ષમાં મારું મંત્રાલય આસામમાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ રકમ જહાજ સમારકામ સુવિધાઓ, બંદરો માટે વૈકલ્પિક રસ્તાઓનું નિર્માણ અને ટર્મિનલના વિકાસ જેવા વિવિધ કાર્યો પર ખર્ચવામાં આવશે. સોનોવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરિયાઈ શિક્ષણમાં શ્રેષ્ઠતા કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવશે જે શિપિંગ ઉદ્યોગ માટે વાર્ષિક 5,000 કુશળ યુવાનોને તાલીમ આપશે.